Placeholder canvas

લ્યો બોલો: ગુજરાતની સંવેદનશીલ સરકારે શિક્ષકોને તીડ ભગાડવાના કામે વરગાડીયા..!

ગુજરાત સરકારે માનવતા અને સંવેદનશીલતાની તમામ હદ વટાવી શિક્ષકોને હવે તીડ ભગાડવાના કામમાં જોતરવાના આદેશ કર્યા છે. થરાદ તાલુકા વિકાસ અધિકારીશ્રીના પરીપત્ર ક્રમાંક તા.પં./એડીએમ/તીડ ઉપદ્રવ/વશી/2019 ના તા. 2૩-12-2019ના પરીપત્ર મુજબ પંચાયત અને કૃષિ વિભાગના કર્મચારીઓને તીડ ભગાડવાની કામગીરી સોંપાય ત્યાં સુધી સમજી શકાય છે પરંતુ એમા પ્રાથમિક શાળાના શિક્ષકોને તથા માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓને કેમ જોતર્યા તે આશ્ચર્ય પમાડે છે એવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે જણાવ્યું છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઈનું હીન્દીમાં ભાષણ સભામાંની ભીડ ભગાડવા કામે લાગે એ ઠીક પણ શિક્ષકો તીડ કેવી રીતે ભગાડી શકે તે સમજાય તેમ નથી. શિક્ષણ સિવાયના તમામ કામમાં શિક્ષકને જોતરવા ટેવાયેલી ગુજરાત સરકાર હવે તીડ ભગાડવાનુ કામ પણ તેમની પાસે કરાવશે. સાચું જ છે જે રાજ્યમાં વિદ્યાર્થીઓ એ ભણવાના બદલે પંક્ચર કરતા જ શીખવાનું હોય ત્યાં શિક્ષકોને આવી ઈતર પ્રવૃત્તિ જ સોંપવી પડે. સરકાર શું શિક્ષકોને ખેતરમાં ચાડીયા બનાવીને ઉભા રાખશે ? કે પછી બુમો પાડતાં પાડતાં તીડના ટોળાઓ પાછળ દોડાવશે?

આવનાર દીવસોમાં સરકાર વસ્તી ગણત્રીને બદલે દારૂ સામેના અભિયાનમાં શિક્ષકોને બુટલેગરોની ગણતરી તથા રાજ્યમાં ચાલતા દારૂના અડ્ડાઓની માહિતી એકત્ર કરવા મોકલે તો નવાઈ નહીં. શિક્ષકો પાસે મંદીરની અંદર મુર્તિ સાચવવાનો કે રોજ લુટાતા એ.ટી.એમ. સાચવવાના પરિપત્ર ના કરે તો જ આશ્ચર્ય થશે. સરકાર પોતાના કર્મચારીઓ પર કામનુ ભારણ અને માનસિક ત્રાસ આપ્યા પછી એટલી નિર્દયી પણ નથી એ સંદેશો પણ આપ્યો છે અને સરકારી કર્મીઓને માનસિક ત્રાસ આપ્યા બાદ વિપશ્યના માટે દસ દીવસની રજાઓ પણ આપી જ છે. એટલે આડકતરી રીતે સરકારે એમના દ્વારા કર્મચારીઓ પરનો અમાનુષી માનસિક અત્યાચાર પણ સ્વિકાર્યો છે.

​સરકારી ઉત્સવો, મેળાવડા, વાઈબ્રન્ટના તાયફામાં વ્યસ્ત રહેતા શિક્ષકો શિક્ષણ સિવાયનું તમામ કામ કરે છે પણ તેઓ બંધવા મજુર હોય તેમ તીડ ભગાડવાની કામગીરી સોંપી ભાજપ સરકારે ગુરૂદ્રોહની સાથે સાથે પોતાની વહીવટી અણઆવડત સિધ્ધ કરી છે અને શિક્ષકને “ગુરુ” ને બદલે “લઘુ” બનાવી દીધો છે.

એકબાજુ શાળા સંચાલકોને ઊંચી ફી વસુલવાની છુટ અને બીજી બાજુ શિક્ષકોને ટુંકા અને ફીક્સ પગારમાં સરકારના ગુલામ હોય તેવા દ્રષ્ટિકોણથી તમામ બિનશૈક્ષણીક જવાબદારી આપવાની બેવડી નિતિએ શિક્ષણની ઘોર ખોદી નાખી છે. સરકારે શિક્ષકો દ્વારા કરાવતા અન્ય કામો માટે શિરપાવ આપવાને બદલે અપૂરતો પગાર આપીને શિક્ષકોનું શોષણ કર્યું છે એટલું જ નહીં પરંતુ હાઇકોર્ટે ફુલ પગાર આપવાના કરેલા હુકમ સામે સુપ્રીમમાં પણ ગઈ છે. આજે ફિક્સ પગારમાં ઘર ના ચાલે તો વ્યક્તિનું ઈમાન ક્યાંથી ચાલે ? છતાં પણ શિક્ષકો ઈમાનદારીથી પોતાની ફરજો અને બળજબરી ઠોકી બેસાડેલી ફરજો પણ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે.

સરકાર માટે ભીડ ભેગી કરવા શિક્ષકો પર નજર પડે ઉત્સવો અને સરકારી મેળાવડાના તાયફા કરવા હોય તો શિક્ષકો પર મદાર રાખવાનો. વસતી ગણતરી હોય, રોગચાળાના સર્વે, પોલિયોના ટીંપા આપવા, મતદાર યાદી, ખેલ મહાકુંભ, લોકમેળામાં સરકારી કાર્યક્રમમાં હાજરી, શૌચાલય બનાવવા લોકો ને સમજાવવા, ઘેર ઘેર જવું આધાર કાર્ડ કઢાવવા, ચૂંટણી કાર્ડ, ચૂંટણીની દરેક કામગીરી, વિવિધ સાપ્તાહોની ઉજવણી, અસરગ્રસ્તોને રાહત સામગ્રી વિતરણ, બાયસેગ દ્વારા વડાપ્રધાન અને મુખ્યમંત્રીની અનુકૂળતાએ થતા એકતરફી વાર્તાલાપ ટી.વી. પર બાળકોને તથા ગ્રામજનોને આ કાર્યક્રમ જોવા ફરજિયાત ભીડ ભેગી કરવી, પ્રવેશોત્સવની ઉજવણી, SPC ની કામગીરી વગેરે કામો તો કરાવાય જ છે. ટૂંકમાં શિક્ષણ સિવાયની બીજી મોટા ભાગની કામગીરી ફરજીયાત ના છુટકે પણ કરવી જ પડે છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો