વાંકાનેર: પોલીસનો મોતિયો ઉતર્યો : ખાનગી ટોલનાકા પ્રકરણમાં ફરિયાદ નોંધી….
વાંકાનેર : વઘાસિયા પાસે 27નેશનલ હાઇવે પર આશરે છેલ્લા દોઢ વર્ષથી ચાલતું ખાનગી ટોલનાકુ પોલીસને નહોતું દેખાણું એ ગઈકાલે અચાનક દેખાઇ ગયું છે. ગઈકાલે દિવ્ય ભાસ્કરે કરેલા મોતિયો કેમ્પમાં (રિપોર્ટિંગ બાદ) દોઢ વર્ષથી દ્રષ્ટિહીન રહેલ પોલીસના આંખનો મોતિયો ઉતારી દેવાયો છે. અને પોલીસની નજર હવે ભારે તેજ થઈ જતા ખાનગી ટોલનાકા પ્રકરણમાં કાલે પાંચ શખ્સો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં ભાજપ અગ્રણી તથા પાટીદાર અગ્રણીના પુત્ર સહિતના મોટામાથાઓનો સમાવેશ થતાં ખળભળાટ મચી ગયો છે…
આ પ્રકરણની પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નજીક વઘાસીયા પાસે 27 નેશનલ હાઇવે પર છેલ્લા આશરે દોઢ વર્ષથી સરાજાહેર ચાલતા ખાનગી બોગસ ટોલનાકા પ્રકરણ મામલે પોલીસ કર્મચારી યશપાલસિંહ પરમારએ ફરિયાદી બની વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેર શહેર નજીક આવેલા વઘાસીયા ટોલનાકાની બાજુમાં પુર્વ દિશાએ આવેલ વ્હાઇટ હાઉસ સિરામીક ફેક્ટરી છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં હોય, જેમાં વ્હાઇટ હાઉસ સીરામીકના શેઠ (૧). અમરશીભાઇ જેરામભાઇ પટેલ, (૨)વઘાસીયા ગામના રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા તથા (૩). હરવિજયસિંહ જયુભા ઝાલા તથા તેના મળતીયા માણસો ભેગામળી કારખાનામાં વઘાસીયા ટોલનાકુ બાયપાસ થઇ જાય તેવી રીતે ગેરકાયદેસર રસ્તો બનાવી વાહનચાલકોને બળજબરીથી અહીંથી પસાર કરી તેમની પાસે મરજી મુજબ ટોલપ્લાઝા દ્રારા નિયત કરેલ દર કરતાં ઓછો ટોલ ઉઘરાવી ગેરકાયદેસર કૃત્ય કરી ટોલવેઝને આર્થિક નુકશાન પહોંચાડી પોતે આર્થિક લાભ મેળવતા હતા….
આ બાબતે કોઇપણ જાતની સતા કે અધિકાર વગર આરોપીઓએ પોતે બનાવેલ ગેરકાયદેસર રસ્તા ઉપરથી મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર પસાર થતા વાહનોને બળજબરીથી લઇ જઇ આ વાહનોને ટોલપ્લાઝા બાયપાસ કરાવી ગેરકાયદેસર રીતે પહોંચ આપ્યા વગર પોતાની મરજી મુજબ ટોલની ઉઘરાણી કરી સરકાર દ્રારા સંચાલીત ટોલ કંપની તથા ખાનગી વાહનચાલકો સાથે છેતરપીંડી કરતાં આરોપી ૧). અમરશીભાઇ જેરામભાઈ પટેલ (વ્હાઇટ હાઉસ સિરામીકના ઓથોરાઈઝ), ૨). રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા (રહે. વઘાસીયા), ૩). હરવિજયસિંહ જયુભા ઝાલા (રહે. વઘાસીયા), ૪). ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (રહે. વઘાસીયા), ૫). યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા (રહે. વઘાસીયા) અને તેમની સાથેના અજાણ્યા માણસો સામે પોલીસે આઇપીસી કલમ 384, 406, 320, 506(2), 34 મુજબ ગુનો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાવમાં આરોપી ધર્મેન્દ્રસિંહ ઝાલા વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ, ભાજપ અગ્રણી અને વઘાસીયા ગામના સરપંચ હોય તેમજ આરોપી અમરશીભાઇ પટેલ ઉમિયાધામ સંસ્થા-સિદસરના પ્રમુખ જેરામભાઈ પટેલના પુત્ર હોય, જેથી આ રાજકીય તથા સામાજિક મોટા માથાઓના નામ આવતા આ પ્રકરણ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે એટલું જ નહીં પણ હવે તો ટોક ઓફ ધ ગુજરાત થઈ જતા ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. તેમજ પોલીસ આરોપી સામે કડક કાર્યવાહી કરશે કે કુણું વલન રાખશે.. તેમની લોકમુખે ચર્ચા થઈ રહી છે.