Placeholder canvas

વાંકાનેર: જડેશ્વર મહાદેવ મંદિરે મેળાનો કૃષિ મંત્રીના હસ્તે શુભારંભ….

વરસાદ ખેંચતા મહાદેવ કૃપા કરી વરસાદ આપે તેવી પ્રાર્થના કરી યાંત્રિક સાધનો ધરાવતા લોકો સલામતી અંગે ધ્યાન આપે તેવી ટકોર

વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આવેલા જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ભાતીગળ મેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ૭૦૦ વર્ષ પૂર્વે અહીં જડેશ્વર મહાદેવની સ્વયંભૂ સ્થાપના થઈ છે. ત્યારે વર્ષોથી અહીં આ લોકમેળો યોજાય છે. જડેશ્વર મહાદેવના મંદિરે લાખો દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે. સૌરાષ્ટ્ર પંથકમાં પાછોતરો વરસાદ ખેંચાયો છે ત્યારે કૃષિ મંત્રીએ જડેશ્વર દાદાના શરણે સમયસર જરૂરિયાત અનુસાર વરસાદ થાય અને દેશની શાંતિ, સુખ અને સમૃદ્ધી વધે તેવી પ્રાર્થના કરી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતને વિશ્વ ગુરૂ બનાવવા માટે અને દેશની સંસ્કૃતિ તેમજ ધરોહરને ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ છે. ત્યારે સૌ કોઈ તેમને સહયોગ આપે તેમ પણ જણાવ્યું હતું તેમજ સર્વે ઉપસ્થિત લોકોએ જડેશ્વર મંદિર ખાતે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિલાલજી મહારાજ અને જીતેન્દ્રજી મહારાજ, વાંકાનેર પ્રાંત અધિકારી એ. એચ. શેરશીયા, અગ્રણી રણછોડભાઈ દલવાડી અને નરેન્દ્રસિંહ ઝાલા, કોઠારિયા ગામના સરપંચ કિશોરસિંહ ઝાલા સહિત આજુબાજુ ગામના સરપંચ અને નાગરિકો તેમજ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

યાંત્રિક સાધનોમાં દુર્ઘટના ના સર્જાય તેની તકેદારી રાખવી

મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને મનોરંજન માટે ફજેત-ચકડોળમાં બેસતા હોય છે ત્યારે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે યાંત્રિક સાધનો ચલાવતા લોકોને તકેદારી રાખવા સુચના આપી હતી લોકો મોટી સંખ્યામાં આવતા હોય ત્યારે કોઈ દુર્ઘટના ના સર્જાય અને લોકોની સલામતી માટે યોગ્ય તકેદારી રાખવા જણાવ્યું હતું તેમજ સત્તાવાળાઓ પણ વિશેષ તકેદારી રાખે માટે જરૂરી સુચના આપી હોવાનું જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો