આમાં જ ખેડૂતની આવક બમણી થશે?: પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોએ રસ્તાઓ પર ટમેટા ફેંકી દીધા !!
મોદી સાહેબને ખેડૂતની આવક બમણી કરવામાં ભારે રસ છે!! પણ આ ખેડૂતો જ જુઓને પોતાનો તૈયાર થયેલો પાક રસ્તા પર નાખી દે છે ! પછી બિચારા મોદી સાહેબ શું કરે ? શું આમ જ ખેડૂતની આવક બમણી થવાની છે ? બિચારો ખેડૂત જો વેચવા જાય ને તો ભાડાના પૈસા પણ નથી ઉપજતા ! અને આમ છતાં આ ભાજપીઓ ખેડૂતોના વિકાસ અને તેમની આવક બમણી કરવાની વાતો કરતા થાકતા નથી !!! કાંઈક તો શરમ કરો… !!!
રાજકોટ જિલ્લાના જામકંડોરણાના શાકભાજીના ખેડૂતોની હાલત દયનીય બની છે. શાકભાજીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તમેતાના ભાવો ખુબ જ ઘટી જવાથી ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવવા માટે રસ્તાઓ પર ટમેટા ફેંકી દીધા હતા.
મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકના ઘણા ખેડૂતોએ પોતાના ખેતરોમાં શાકભાજીનું વાવેતર કર્યું છે. પરંતુ શાકભાજીનો પાક તૈયાર થઇ જતા તેના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા છે. મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશક દવાઓ છંટકાવ કરીને પાકનો ઉછેર કરનાર ખેડૂતોને આશા હતી કે શાકભાજીમાં સારી એવી ઉપજ અને સારા ભાવો મળશે પરંતુ હાલ ટમેટા, મરચા, રીંગણા, કોબી જેવા શાકભાજીના ભાવો તળીયે ગયા છે. તેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ નથી મળતા જેથી શાકભાજીનું વાવેતર કરીને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટમેટા, મરચા, કોબી જેવા ઘણા શાકભાજીઓના જે ભાવો હાલ ખેડૂતોને મળી રહયા છે તે ભાવમાં ખેડૂતોને પાકના ઉછેર માટેનો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી. મરચાના ભાવમાં પણ ઘટાડો થવાથી ખેડૂતો હાલ ખેતરમાં જ તૈયાર થયેલા મરચાને સુકવીને લાલ મરચુ પાઉડર બનાવવા લાગ્યા છે. કેટલાક ખેડૂતોએ ટમેટાનો યોગ્ય ભાવ ન મળતા તેમને રસ્તાઓ પર ટમેટા ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે