Placeholder canvas

રાજકોટ: પરિણીતાની હત્યા, પતિનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

રાજકોટ, ગોંડલ: ગોંડલ નજીક જામવાડી ગામ સામે નેશનલ હાઇવે પર હોટલની બાજુમાંથી વહેલી સવારે ગળુ રહેસી નંખાયેલી હાલતમાં અજાણી મહિલાની લાશ મળી આવતા તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ લાશને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. મૃતદેહની બાજુમાંથી છરી મળી આવી હોવાથી પોલીસે તે કબ્જે કરી મહીલાની ઓળખ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં મોડીરાત્રે હત્યાનો ભોગ બનનાર મહિલા રાજકોટની હોવાનું ખૂલ્યું હતું. જ્યારે તેના પતિએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હોય પત્નીની હત્યા બાદ પતિએ આપઘાત કર્યાની પોલીસે શંકા વ્યક્ત કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના જામવાડી નજીક નેશનલ હાઇવે નજીક હત્યા કરાયેલી હાલતમાં અજાણી મહિલાની લાશ પડી હોવાની જાણ પોલીસને કરાતા તાલુકા પીએસઆઇ જે.એમ. ઝાલા સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.તપાસ કરતાં અંદાજે વીસ બાવીસ વર્ષની અજાણી મહિલાનું ગળું છરીના ઘા મારી રહેંસી નખાયું હોય અને છાતી અને પેટનાં ભાગે છરીના ઘા મરાયા મરાયા હોવાનું ખૂલ્યું હતું. જ્યારે મૃતદેહ પાસેથી છરી મળી આવી હોઈ પોલીસે કબ્જે કરી લાશને પીએમ માટે લાશને રાજકોટ ખસેડી હતી.

પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ, મહીલા પરપ્રાંતિય મજુર વર્ગની હોવાનું તથા ગળામાં મંગલસુત્ર પહેર્યુ હોવાથી પરણીત હોવાનું જણાયું હતું. તેમજ મહિલાનાં ડાબા હાથ પર રવિ તથા સોનલ નામ ત્રોફાવેલાં હતા. ગોંડલ તાલુકા પાલીસને મોડીરાત્રે તપાસ દરમિયાન મૃતક સોનલ રવિભાઈ (ઉ.વ.૨૩, રહે. કિટીપરા, રાજકોટ) હોવાનું મળ્યું હતું.

બીજી તરફ, કિટીપરામાં શેરી નં. ૭માં રહેતો અને છુટક મજુરી કરતો રવિ વિનુભાઈ વઢવાણીયા (ઉ.વ.૨૨) ગઈકાલે તેની પત્ની સાથે ઘરેથી દવા લેવા જવાનું કહીને નિકળ્યા બાદ બંને લાપત્તા બની ગયા હતાં. પરિવારજનોએ શોધખોળ કરવા છતા કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન આજે રવિએ ઢેબર રોડ પર પી.ડી.એમ. કોલેજ નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા ગંભીર ઈજા થઈ હતી. ૧૦૮ મારફત તત્કાળ સિવિલમાં ખસેડાયો હતો. જયાં તેનું મૃત્યું નિપજયું હતું. જાણ થતાં માલવીયાનગર પોલીસના એ.એસ.આઈ. કે.યુ.વાળા સહિતના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસે જણાવ્યું કે, મૃતકનાં લગ્ન એકાદ વર્ષ પહેલા જ થયા હતાં. તેને માનસિક બિમારી હોય તેની દવા પણ ચાલુ હતી. ગઈકાલે પત્ની સાથે ઘરેથી નિકળ્યા પછી લાપત્તા બન્યા બાદ આજે ટ્રેન હેઠળ ઝંપલાવી દીધું હતું. પરંતુ રવિની પત્ની સોનલ અંગે પોલીસને કોઇ માહિતી મળી ન હતી. આ તરફ ગોંડલના જામવાળી પાસેથી મળેલી હત્યા કરાયેલી લાશ રવિની પત્ની સોનલની હોવાનું ખૂલ્યું હોય રવિએ પત્નીને મોતેને ઘાટ ઉતારી દીધા બાદ રાજકોટ આવી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું અનુમાન છે. જો કે પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટના અને માહિતી બહાર આવશે.

આ સમાચારને શેર કરો