Placeholder canvas

તલાટીની પરીક્ષાની તારીખ બદલી, હવે 7મી મે ના રોજ લેખિત પરીક્ષા લેવાશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવનાર તલાટીની લેખિત પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. તલાટી કમ મંત્રીની પરીક્ષા અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 30 એપ્રિલે લેવાનાર તલાટીની પરીક્ષા હવે આગામી તારીખ 7 મે 2023ના રોજ યોજાશે.

મંત્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં પણ રાજ્યનાં વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલી એક સ્ટેજ પરીક્ષાઓમાં 40 ટકાથી 50 ટકા જેટલા જ ઉમેદવારો હાજર રહેતા હોવાનું જણાયું છે. જ્યારે મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થામાં ઘણો સમય, શક્તિ અને સંસાધનનો વ્યય થાય છે. આથી આ બાબતને ધ્યાનમાં લઇ જે ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેટલા ઉમેદવારો અગાઉથી કન્ફર્મેશન આપે તેટલા જ ઉમેદવારોની વ્યવસ્થા કરી પરીક્ષા લેવામાં આવે તો સાધનો બિનજરૂરી રીતે વેડફાય નહીં તથા પરીક્ષા માટે વધુ સારી વ્યવસ્થા ગોઠવી શકાય. આ માટે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા ગોઠવતા પૂર્વે જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેમની પાસેથી અગાઉથી કન્ફર્મેશન લેવાની વ્યવસ્થા કરવાનું મંડળે નિર્ણય કર્યો છે. ઉમેદવારોએ અગાઉથી કન્ફર્મેશન આપવાનું રહેશે, કન્ફર્મેશન નહી આપનાર પરીક્ષા આપી શકશે નહીં એમ મંત્રીએ ઉમેર્યું હતું.

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા તા. 30 એપ્રિલ 2023ના રોજ લેવાનું મંડળે આયોજન કર્યું હતું. પરંતુ પરીક્ષાની પ્રક્રિયામાં લાગનાર સમયને ધ્યાનમાં લઇ આ પરીક્ષા હવે તા. 30 એપ્રિલ 2023ના બદલે આગામી તા. 7 મે 2023ના રોજ લેવાનો રાજ્ય સરકારે ઉમેદવારોના હિતમાં મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેની વિગતવાર જાહેરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષામાં અંદાજે 17,10,386 ઉમેદવારો ભાગ લેવાના છે.

આ સમાચારને શેર કરો