રાજકોટ: બાબા સાહેબની પ્રતિમાના ફૂલહાર કાર્યક્રમમાં ભાજપના નેતાઓનો દલિત સમાજે વિરોધ કર્યો.
ચૂંટણી સમયે જ બાબા સાહેબ યાદ આવે છે, બાકી કોઈ આવતું નથી.
રાજકોટ: આજે સંવિધાન દિવસ છે ત્યારે આ દિવસની ઉજવણી માટે રાજકોટમાં ભાજપના ઉમેદવારો અને નેતાઓ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવા આવ્યા હતા. પરંતુ દલિત સમાજના લોકોનો પણ એ જ સમયે ફૂલહાર કરવાનો કાર્યક્રમ હતો. આથી દલિત સમાજે ભાજપના નેતાઓનો વિરોધ કર્યો હતો. એક વ્યક્તિએ કહ્યું હતું કે, બહુ ભક્તિ કરી ભાઈ, હવે અમારો વારો આવવા દ્યો. ચૂંટણી સમયે જ બાબા સાહેબ યાદ આવે છે, બાકી કોઈ આવતું નથી.
દલિત સમાજના એક વડીલે કહ્યુ કે, તાજેતરમાં જ વજુભાઈ વાળાએ દલિત સમાજની લાગણી દુભાઇ એવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી સમયે જ નેતાઓને બાબા સાહેબ યાદ આવે છે બાકી કોઈ આવતું નથી. દલિત સમાજના લોકોએ કહ્યું હતું કે, બહુ ભક્તિ કરી ભાઈ, હવે વારો આવવા દ્યો. જો કે આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓએ દલિત સમાજના લોકોનો સામનો કરવો પડ્યો હતો.
દલિત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, અમે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવા આવ્યા છીએ, અમારો 10 વાગ્યાનો સમય હતો. પરંતુ ભાજપવાળા ફૂલહાર કરવા આવી ગયા. ચૂંટણી છે એટલે ભાજપવાળા બાબા સાહેબ..બાબા સાહેબ કરે છે, બાકી બાબા સાહેબ સાથે કેવું કરે છે એ બધાને ખ્યાલ છે. વજુભાઈ કેવું બોલે છે, એવું ન બોલાયને વજુભાઈ વાળાથી. બીજા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ભાજપવાળાએ અમારા કાર્યક્રમમાં જોડાવું હોય તો ખેસ કાઢીને જોડાઇ શકે છે. ચૂંટણી છે એટલે તમે આવો છો, ખેસ કાઢીને ઉભા રહો અમે તમને ના પાડતા નથી.