Placeholder canvas

મોરબીના નવા બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા હર્ષ સંઘવી

વાંકાનેરના આવાસનું ઇ-લોકાર્પણ: લીલાપરમાં ઔદ્યોગિક સંગઠનોના આગેવાનો, પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા.

રાજયના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે મોરબી અને રાજકોટ જિલ્લાની મુલાકાતે છે, આજે સવારે તેઓએ મોરબીના નવા બસસ્ટેશનનું લોકાર્પણ કર્યુ હતું. તો અધિકારીઓ અને ઉદ્યોગકારો સાથે બેઠક પણ કરી છે, આ બાદ આજે સાંજે તેઓ રાજકોટમાં પણ પોલીસ આવાસ નિગમ દ્વારા બાંધવામાં આવેલા 80 આવાસોનું લોકાર્પણ કરવાના છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોરબી ખાતે રૂ. 543 લાખથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા આર.સી.સી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન એસ.ટી. સ્ટેશનનું ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બી કક્ષાના 32 નવનિર્મિત પોલીસ આવાસોનું પણ ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ સભ્ય, ધારાસભ્યો અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લોકાર્પણ સમારોહ બાદ ગૃહ રાજ્ય મંત્રી મોરબીના લીલાપર ખાતે કેશવ પાર્ટી પ્લોટમાં મોરબી ઔદ્યોગિક એસોસિએશનના અગ્રણીઓ સાથે ઉદ્યોગના નાણાકીય વ્યવહારની સલામતી અને સુરક્ષા અંગે સવિશેષ સંવાદ કર્યો હતો તદુપરાંત પોલીસ અધિક્ષકની કચેરી-મોરબી ખાતે પોલીસ વિભાગના અધિકારીઓ સાથે પણ ગૃહ રાજ્ય મંત્રી બેઠક કરી હતી. વધુમાં, રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. દ્વારા નવનિર્મિત બી-કક્ષાના 80 અને સી-કક્ષાના 40 પોલીસ આવાસોનું લોકાર્પણ પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવનાર છે.

આ સમાચારને શેર કરો