સદભાવના વૃધ્ધાશ્રમ દ્રારા અબોલ પક્ષીઓ માટે બર્ડ ફીડરનું ૩૦મી જૂન સુધી નિઃશુલ્ક વિતરણ કરાશે.

એક વ્યક્તિ દિઠ એક બર્ડ ફીડર આપવામાં આવશે.

સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ઉનાળાની ધોમધખતી ગરમીમાં તેમજ બારે મહિના પક્ષીઓને પોષણ, રક્ષણ અને તૃષા તૃપ્તિ થાય તેમનું જીવન બચે તે માટે બર્ડ ફીડર (પક્ષીઓનું અન્નક્ષેત્ર)નું તા. ૩૦ જુન સુધી એક વ્યકિત દિઠ એક બર્ડ ફીડરનું નિઃશુલ્ક વિતરણ સદભાવના વૃધ્ધાશ્રમ, ‘પીપળીયા ભવન’, સ્વામીનારાયણ ગુરૂકુળ સામે, ગોંડલ રોડ, ફાટક પાસે, ઓવરબ્રિઝની નીચે, ડી-માર્ટ વાળી શેરી, રાજકોટ ખાતેથી કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રનાં મુખ્ય માર્ગો પર વૃક્ષારોપણ કરાઈ રહયું છે, અત્યારસુધીમાં ૨૦,૦૦,૦૦૦ જેટલા વૃક્ષો વિનામુલ્યે પીંજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવે છે. આગામી વર્ષોમાં ગુજરાતમાં ૨૦ કરોડ જેટલા વૃક્ષો વાવી તેનું જતન કરવાની સંસ્થાની નેમ છે. ગુગલ મેપમાંથી કોઈ વિદેશમાંથી પણ જોવે તો તેને ગુજરાત લીલુછમ (ગ્રીન ગુજરાત) દેખાય એ સદભાવના વૃધ્ધાશ્રમનું સાત્વિક સ્વપ્ન છે. જાપાનીઝ મિયાવાકી પધ્ધતિથી અત્યાર સુધીમાં ૨૦૦ જેટલા ગાઢ જંગલો નિર્માણ કર્યા છે.

માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. ગુજરાતના સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા ૫૫૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી ૧૮૦ વડીલો સાવ પથારીવશ (ડાઈપરવાળા) વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળુ પણ કોઈ ન હોય, એકલવાયી-નિરાધાર હાલ તેમાં પોતાનુ જિવન વ્યતિત કરી રહયાં છે. આવા પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના)ને પણ સદભાવના વૃધ્ધાશ્રમમાં પોતાની ફરજના ભાગરૂપે નિઃશુલ્ક આશ્રય અપાઈ રહયો છે. યથાશકિત સેવા કરાઈ રહી છે. પોતાની આસપાસમાં કોઈ નિરાધાર કે નિઃસહાય, પથારીવશ વ્યકિતઓ (કોઈપણ ઉમરનાં) જોવા મળે તો તેમને સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) સુધી પહોંચાડવા જાહેર વિનંતી કરાઈ છે.

બર્ડ ફીડર વિતરણ અંગેની વિશેષ માહિતી માટે સદભાવના વૃધ્ધાશ્રમ, ‘પીપળીયા ભવન’ સદભાવના વૃધ્ધાશ્રમ સ્વામીનારાયણ ગુરૂકુળ સામે, ગોંડલ રોડ ફાટક પાસે, ઓવરબ્રીઝની નીચે, ડી-માર્ટ વાળી શેરી, રાજકોટ. મો. ૮૦૦૦૨૮૮૮૮૮ ઉપર સંપર્ક કરવા સદભાવના વૃધ્ધાશ્રમનાં પ્રમુખ વિજયભાઈ ડોબરીયાની યાદીમાં જણાવાયું છે.

આ સમાચારને શેર કરો