Placeholder canvas

ગુજરાતમાં 24 કલાકમાં હાર્ટ એટેકથી 7થી વધુ લોકોના મોત, રાજકોટમાં ત્રણ લોકોના હૃદય થંભી ગયા…

સુરત,જેતપુર, અમદાવાદ અને મહેસાણામાં પણ હાર્ટ એટેકથી મોતના બનાવો નોંધાયા

ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. યુવાનોમાં આ પ્રકારના કિસ્સાઓ વધારે પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકના કારણે રાજ્યમાં 7થી વધુ લોકોના મોત થયાં છે. રાજકોટમાં જ છેલ્લા 12 કલાકમાં એક શિક્ષક સહિત ત્રણ લોકોના હૃદય થંભી જવાથી મોત થયાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પ્રકારના મોતની ઘટનાઓને લઈને તબીબોમાં પણ ચિંતાઓ વધી છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને મહેસાણામાં હાર્ટ એટેકના કારણે થયેલા મોતના કિસ્સા સામે આવ્યાં છે. છેલ્લા 10 દિવસમાં 20થી વધુ લોકોના હાર્ટ એટેકથી મોત થયાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 24 વર્ષના રણજીત યાદવ, 40 વર્ષીય આશિષ અકબરી અને 43 વર્ષના દિપક વેકરિયાનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે સુરતમાં મુકેશ ગામીત નામનો યુવક ગઈકાલે રાત્ર ગરબા રમી રહ્યો હતો આ દરમિયાન તેને અચાનક છાતીમાં દુખાવો થતાં તે ઢળી પડ્યો હતો. જેતપુરમાં ખજુરી ગુંદાળામાં રહેતા 22 વર્ષીય કિશન મકવાણા નામના યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. અમદાવાદ શહેર કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના મંત્રી 36 વર્ષીય વિશાલ સોલંકીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. મહેસાણાના વિજાપુરના ખરોડ ગામે હાર્ટ એટેકથી 65 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે.

આ સમાચારને શેર કરો