આજે સાંજે ‘બિપરજોય’ વાવાઝોડું જખૌ બંદરે ટકરાશે: માત્ર 180 કિમી દૂર, દરિયાનું રૌદ્ર રૂપ
અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત ‘બિપરજોય’ હવે ગુજરાતની નજીક પહોંચ્યુ છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું જખૌથી 180 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 210 કિલોમીટર, નલીયાથી 210 કિલોમીટર અને પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ પ્રતિકલાક 6 કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે. જોકે, પવનની ગતિમાં ઘટાડો થયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ‘બિપરજોય’ વાવાઝોડું આજે સાંજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. મુખ્યમંત્રીએ પ્રભાવિત જિલ્લાના અલગ અલગ ગામના સરપંચો સાથે ડેશબોર્ડના માધ્યમથી વાતચીત કરી હતી. આજે દ્વારકા અને કચ્છ તેમજ જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. પાવાગઢનું મંદિર 15 તારીખથી 16 તારીખે બપોર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શ્રી સોમનાથ મંદિર તેમજ સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિર દર્શનાર્થીઓ માટે આજે 15 તારીખના રોજ બંધ રેહશે.