આવતીકાલથી વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત…
ભારતમાં આવતીકાલથી ક્રિકેટનાં મહાકુંભ વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવા જઈ રહી છે. આ વખતે ટુર્નામેન્ટમાં ઘણા ફેરફારો થયા છે. સૌથી ખાસ વાત તો એ છે કે પહેલી વખત સંપૂર્ણ વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાશે. આ પહેલાં 2011માં ટુર્નામેન્ટ ભારતમાં થઈ હતી, પરંતુ સંયુક્ત હોસ્ટમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ હતા.
ભારતની યજમાનીમાં આ વખતે વર્લ્ડ કપ માટેના કેટલાક નિયમો પણ બદલાયા છે. અત્રે જણાવવામાં આવે છે કે આ ક્રિકેટ વિશ્વકપના પ્રારંભમાં આતશબાજી કે કોઈ રંગારંગ કાર્યક્રમ નહિ યોજાય. વિશ્વકપ 2023માં ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ નહિ યોજાય તેમજ આજે તમામ 10 ટીમના કેપ્ટનો અમદાવાદ પહોંચશે. સાંજે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં તમામ કેપ્ટનો ઉપસ્થિત રહેશે, જ્યાં કેપ્ટન મીટનું આયોજન કરાયું છે. એમાં તમામ દેશની ટીમોના કેપ્ટનોનું ટ્રોફી સાથે ફોટોસેશન યોજાશે. ત્યાર બાદ તમામ ટીમના કેપ્ટનો મીડિયા સાથે વાતચીત કરશે.
5 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈગ્લેન્ડ અને રનરઅપ ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ મેચ જોવા માટે BCCIના સેક્રેટરી જય શાહ દ્વારા 20 કેન્સરગ્રસ્ત બાળકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે આ તમામ કાર્યક્રમો તેમજ વર્લ્ડકપની મેચોને લઈ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તમામ તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે.