વાંકાનેરમા મોડીરાત્રે હાઇવે જકાતનાકા પાસે યુવાનની હત્યા
વાંકાનેર : વાંકાનેર શહેરના હાઇવે જકાતનાકા ચોકડી પાસે ગત મોડીરાત્રે મારમારીની ઘટનામાં અમરનાથ સોસાયટીમાં રહેતા યુવાનની મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. ઘટનાની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યા અંગે ગુન્હો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના જિનપરા જકાતનાકા નજીક પાસલીયા હોસ્પિટલ પાસે ગત મોડીરાત્રીના મારામારીના બનાવમાં વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા અમિતભાઈ અશ્વિનભાઈ કોટેચા, ઉ.38 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પીઆઇ એન.કે.વસાવા સહિતનો કાફલો દોડી ગયો હતો અને હત્યાના બનાવને અંજામ આપનાર ચારેક શખ્સોને દબોચી લેવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં મૃતક અમિતભાઇ જમીન મકાનના ધંધાર્થી હોવાનું અને ચારેક શખ્સોએ છરી ગુપ્તીના ઘા ઝીકી બનાવને અંજામ આપ્યો હોવાનું સૂત્રો દ્રારા જાણવા મળેલ છે. જો કે બનાવ સમયે પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી અને બનાવ બાદ મૃતકને હોસ્પિટલ ખસેડી પોલીસ ટીમે મૃતકને બચાવવા કોશિશ કરી હતી પરંતુ અમીતભાઈનો જીવ બચી શક્યો ન હતો. વાંકાનેર સીટી પોલીસે હત્યા અંગે ગુન્હો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.