Placeholder canvas

એસટી બસે બાઇકને અડફેટે લેતાં 2 સગા ભાઈ સહિત 3 યુવાનનાં મોત…

વડોદરા શહેર નજીક આવેલા કોટંબી પાસે આજે રાત્રે એસટી બસની અડફેટે બાઇકસવાર બે સગા ભાઈ સહિત 3 યુવાનનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જરોદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ત્રણેય યુવાનના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, અમરેશ્વપુરા ગામના ત્રણ યુવાન રાત્રે 8.15 વાગ્યે જરોદથી અમરેશ્વર પુરા ગામ તરફ જઈ રહ્યા હતા. આ સમયે તેઓ વડોદરા-હાલોલ રોડ પર કોટંબી ચોકડી પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ સમયે ગાંધીનગરથી પાવાગઢ તરફ (GJ-18-Z-4692)નંબરની એસટી બસ જઈ રહી હતી. આ એસટી બસે ત્રણ બાઇકસવારોને અડફેટે લીધા હતા.

આ ઘટનામાં અમરેશ્વરપુરા ગામના બે સગા ભાઇ રોશન નટુ વસાવા, રવિ નટુ વસાવા અને રાજેશ નાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્રણેયનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. અકસ્માત બાદ હાઇવે પર લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. ટ્રકને ઓવરટેક કરવા જતાં અકસ્માત થયો હતો.

આ સમાચારને શેર કરો