Placeholder canvas

માલીયાસણ પાસે ટ્રકે ઠોકર મારતા બે દેવિપુજક યુવકોના કમકમાટીભર્યા મોત.

રાજકોટ- અમદાવાદ હાઈવે પર માલીયાસણ પાસે પુરપાટ ઝડપે આવેલ કાળમુખા ટ્રકની ઠોકરે બાઈક સવારે બે યુવકોના કમકમાટી ભર્યા મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર શુકલ પીપળીયા ગામે સાત હનુમાન મંદિર પાસે રહેતા વિનુભાઈ રૂડાભાઈ જખાનીયાનો પુત્ર ધુધો (ઉ.વ.18) ગત રાત્રીના ઘરે હતો ત્યારે સાંજના સમયે તેના કુટુંબી ભાઈ બહાદુર છગનભાઈ સાડમીયા (ઉ.વ.25) (રહે. તરઘડીયા)નો ફોન આવ્યો હતો કે, આપણે રાજકોટ જવું છે.

જેથી ધુધો બાઈક લઈ તેની પાસે ગયો હતો અને બાદમાં બન્ને રાજકોટ ગયા હતા. જયાંથી બન્ને બાઈકમાં પરત ફરતા હતા ત્યારે માલીયાસણ ગામ પાસે એચ.પી. પંપ પાસે પહોંચતા પાછળથી પુરપાટ ઘુસી આવેલા અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા બંને બાઈક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં ધુધાને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જયારે સાથેના બહાદુરને લોહીલુહાણ હાલતમાં એકઠા થયેલ લોકોએ 108 મારફતે સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજયું હતું.

આ બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા પીએસઆઈ વળવી સહીતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં મૃતક ધુધો અપરિણીત અને ત્રણ ભાઈ-બહેનમાં વચેટ તેમજ પશુપાલનનું કામ કરતો હતો અને મૃતક બહાદુર ડ્રાઈવિંગ કામ કરતો અને ત્રણ ભાઈ-બહેનમાં વચેટ અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. જુવાનજોધ પુત્રોના મોત થતા બન્નેના પરિવાર પર આભ તુટી પડયું હતું.

આ સમાચારને શેર કરો