મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી: સુરેન્દ્રનગરમાં ટ્રેનનું એન્જીન આગળ દોડ્યું અને ડબ્બા પાછળ છૂટા રહી ગયા..!!
સુરેન્દ્રનગર: રેલવેમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ટ્રેનનું એન્જીન આગળ દોડી ગઈ અને તેના ડબ્બા પાછળ રહી ગયા હતા. આ પ્રકારની ઘટના સુરેન્દ્રનગરથી પીપાવાવ તરફ જતી માલગાડી ટ્રેનમાં બની છે. જેમાં ચાલુ માલગાડીના ડબ્બા છૂટા પડી જતાં દોડધામ મચી હતી. જો કે અન્ય કોઈ ટ્રેન ન આવતી હોવાના કારણે જાનહાનિ થઈ નથી
આ અંગેની માહિતી અનુસાર, સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી માલગાડી ટ્રેનના પાછળના ભાગના ગાર્ડ સહિત 6 ડબ્બા ભોગાવો નદી પરના રેલવે બ્રિજ પર ચાલુ માલગાડીએ છૂટા પડી ગયા હતા. જેના કારણે ભારે દોડધામ મચી ગઈ હતી. જે પછી રેલવે અધિકારીઓ અને સ્ટાફ પહોંચ્યા હતા.
તમામ પરિસ્થિતિના કારણે અંદાજે 1 કલાક સુધી ટ્રેન વ્યવહારને પણ અસર થઈ હતી અને જેના પછી ફરી છૂટા પડેલા ડબ્બાને જોઇન્ટ કર્યા બાદ માલગાડી આગળ તરફ રવાના કરવામાં આવી હતી. આ અંગે રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, ટેક્નિકલ ખામીના કારણે જોઈન્ટમાંથી ડબ્બા છૂટા પડી ગયા હતા. તેમજ કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
માલગાડી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાને પગલે સુરેન્દ્રનગર સ્ટેશન પરથી ટેકનિકલ ટીમ પહોંચી ટીમ દ્વારા બોગીમાં ક્લેમ્પ ફિટીંગની કામગીરી કરવામાં આવી હતી. જે પછી ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી.