Placeholder canvas

23 નવેમ્બરથી સરકાર સ્કૂલો ખોલવા મક્કમ

સોમ,બુધ,શુક્રવારે ધો.10-12 અને મંગળ,ગુરૂ,શનિવારે ધો. 9-11ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવાશે

તાજેતરમાં આગામી 23 નવેમ્બરે સ્કૂલો શરુ કરવા માટે સરકારે જાહેરાત કરી હતી. સરકારે કરેલી જાહેરાતનો રાજ્યના વિવિધ વાલી મંડળે વિરોધ કરતાં વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે ફરીવાર રાજ્ય સરકારે 10 ઓક્ટોબરના ઠરાવ પ્રમાણે 23 નવેમ્બરે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શરુ કરવા માટે જાહેરાત કરી છે. રાજ્ય સરકારે સ્કૂલોમાં કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન કરવા તેમજ વિદ્યાર્થીઓને સ્કૂલમાં મોકલવા માટે વાલીઓનું લેખિત સંમતિ પત્રક પણ મેળવવાનું કહ્યું છે.

23 નવેમ્બરથી તમામ સરકારી/ સ્વ નિર્ભર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન ( ભૌતિક રીતે) શૈક્ષણિક કાર્ય ફરીથી શરુ કરવામાં આવશે. ઓફલાઈન ( ભૌતિક રીતે) શૈક્ષણિક કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થી માટે સ્વૈચ્છિક રહેશે. તથા તે માટે સંબંધિત સંસ્થાએ વિદ્યાર્થીના વાલીઓ પાસેથી લેખિતમાં સંમતિ પત્રક મેળવવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ ક્લાસમાં ના જોડાય તેઓ માટે ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થા સ્કૂલોએ કરવાની રહેશે. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાત ચેનલ અને દૂરદર્શન ડી.ડી. ગિરનાર પરથી પ્રસારિત થતાં શૈક્ષણિક કાર્યક્રમો જોવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના રહેશે.

અઠવાડિયાના સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલોએ બોલાવવાના રહેશે. જ્યારે મંગળવાર, ગુરુવાર અને શનિવારે ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને સ્કૂલોએ બોલાવવાના રહેશે.

વિદ્યાર્થીઓની સંખ્યા તથા વિષયની જરૂરિયાત તેમજ જટિલતાને ધ્યાને લઈને શાળાઓએ વર્ગ સંખ્યા ગોઠવવાની રહેશે. જેથી 2 વિદ્યાર્થીઓ વચ્ચે ભારત સરકારની SOP પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવાની રહેશે. વધુમાં કયા વિષય/અભ્યાસક્રમ માટે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની રહેશે તે અંગેનો નિર્ણય લેવા માટે સ્કૂલના આચાર્ય સક્ષમ રહેશે.

વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અન્ય તમામ કર્મચારીઓ માટે ફેસ માસ્ક ફરજિયાત રહેશે. અને સતત મોનીટરિંગ દ્વારા કોઈ પણ સંક્રમિત અથવા લક્ષણ ધરાવતા વિદ્યાર્થી કે શિક્ષક શાળા સંકૂલમાં ના પ્રવેશે તેની કાળજી સંબંધિત સત્તાધિકારીએ લેવાની રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા અથવા પરિવારમાં કોરોના સંક્રમિત કોઈ વ્યક્તિ હોય તેવા વિદ્યાર્થી કે સ્ટાફના કોઈ પણ વ્યક્તિ સ્કૂલમાં હાજર રહી શકશે નહીં. કન્ટેન્ટમેન્ટ ઝોનના વિસ્તારમાં સ્કૂલ હોય તો સ્કૂલ ખોલી શકાશે નહીં.

ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ S.O.Pમાં દર્શાવ્યા પ્રમાણે તમામ સંબંધિતો જેવા કે આચાર્ય, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ,SMC સભ્ય વગેરેના કેપેસીટી બિલ્ડિંગ અંગેની કાર્યવાહી ગુજરાત શૈક્ષણિક સંશાધન અને તાલિમ પરિષદ તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવને કરવાની રહેશે.
આ તમામ કાર્યવાહી ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ S.O.P/ માર્ગદર્શિકાની ગાઈડલાઈનને અનુસરીને કરવાની રહેશે.(www.education.gov.in પર ઓનલાઈન ઉપલબ્ધ છે)

આ સમાચારને શેર કરો