Placeholder canvas

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી વાતાવરણ રહેશે…


ગુજરાતમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે પાંચ દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે 5 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ હવામાનની વાત કરીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દરિયાકાંઠના વિસ્તારોમાં પવનની ગતિ 45થી 55 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકવાને લઈને આવતીકાલથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ભારે પવનથી ઊંચા મોજા પણ ઉછળી શકે છે. એટલે લોકોએ દરિયાકિનારે સાવચેતી રાખવી જરૂરી છે.

સૌરાષ્ટ્રમાં પવન સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. બીજી બાજુ આ આગાહીને પગલે જામનગર, રાજકોટ સહિતના શહેરોના વાતાવરણમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે. વધુમાં વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, ખેડામાં પણ વરસાદી માહોલ જોવા મળશે.

આ સમાચારને શેર કરો