skip to content

ખંભાળિયા: જૂની અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યા, પોલીસે કરી બેની અટકાયત

ખંભાળિયા તાલુકાના બેહ ગામે જુના મનદુઃખને લઇ એક યુવાનની લોખંડની પાઇપ, લાકડાના ધોકા જેવા હથિયારો વડે મોતની ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. હત્યાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી. આ મામલે પોલીસે એક આરોપીની ફરિયાદના આધારે અટકાયક કરવામાં આવી છે.

ખંભાળિયાથી આશરે 30 કિલોમીટર દૂર બેહ ગામથી આસોટા ગામ તરફ જતા રસ્તે નારણ પબુભાઈ વરજાંગવારા નામનો 22 વર્ષનો ગઢવી યુવાન જઈ રહ્યો હતો. ત્યારે અગાઉના મનદુઃખને લઇ આ યુવાનને માર્ગમાં અટકાવી અને બેહ ગામના થારીયા ભાયા ગઢવી નામના શખ્સે લોખંડના પાઈપ વડે તથા રણમલ ભાયા ગઢવીએ લાકડી વડે હુમલો કર્યો હતો.

આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા નારણ પબુ ગઢવીને પ્રથમ ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે જામનગર રિફર કરાયો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો હતો અને હત્યાના બનાવને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હત્યામાં સંડોવાયેલા આરોપી થારિયા ભાયા અને રણમલ ભાયાની પોલીસે અટકાયત કરી હતી.

આજથી આશરે એક વર્ષ પૂર્વે આરોપીઓના રહેણાંક મકાનમાં રોકડ રકમની ચોરી થયેલી હોય, જે અંગેના આક્ષેપો વચ્ચે આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ સાજાભાઈ ડાવાભાઈ વારજાંગવારાની ફરીયાદ પરથી ખંભાળિયા પોલીસે થારીયા ભાયા અને રણમલ ભાયાની અટકાયત કરી કલમ 302 તથા 114 અને જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો