Placeholder canvas

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલીશનની તૈયારી : 500 મકાનો કપાશે

રાજકોટ:મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહાનગરમાં વધુ એક મેગા ડિમોલીશનની તૈયારી શરૂ કરવામાં આવી છે. શહેરના વોર્ડ નં.16ના સૌથી જુના વિસ્તાર એવા જંગલેશ્વરમાં વર્ષોથી ટીપીના 50 ફુટના રોડ પર રહેલા દબાણો હટાવીને આ માર્ગ ખુલ્લો કરવા વર્ષો બાદ કાર્યવાહી હાથ પર લેવાતા આજે સાંજ સુધીમાં સર્વે પુરો થાય એટલે નોટીસો આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. સોરઠીયાવાડી ચોકથી સીધા ચંપકભાઇ વોરા બ્રીજ મારફત ભાવનગર રોડ તરફ જવાય છે. આ બ્રીજ શરૂ થતા પૂર્વે ડાબી તરફ બાપુનગર અને જમણી તરફ તવકકલ ચોકથી જંગલેશ્વર શરૂ થાય છે. આ રસ્તે થયેલા મકાનોના દબાણ હટાવવા હવે ફાઇનલ નિર્ણય કરાયો છે.

મનપા સુત્રોના જણાવ્યા મુજબ જંગલેશ્વરના 15 મીટરના ટીપી રોડ પર વર્ષો જુના 500 જેટલા મકાન આવેલા છે. આ પૈકી મોટા ભાગના મકાનોના આગળના ભાગ રોડ પર ઉતરેલા છે તો અમુક મકાનો પુરેપુરા રોડ પર ખડકાયેલા છે. ભુતકાળમાં આ દબાણો હટાવવાના સર્વે થયા હતા તે બાદ તાજેતરમાં ટાઉન પ્લાનીંગ શાખાએ ફાઇનલ સર્વે શરૂ કર્યો હતો. ટીપી અધિકારીઓની ટીમ દ્વારા આ કાર્યવાહી કરીને કપાતમાં આવતા મકાનો પર માર્કિંગ પણ કરવામાં આવ્યા છે. આ રસ્તો દોઢ કિ.મી.ની લંબાઇનો છે. જે સીધો નિલકંઠ સિનેમા પાછળ મેહુલનગર ટચ થાય છે. ત્યાંથી આ માર્ગ સીધો કોઠારીયા રોડને જોડાઇ જશે.

આ દોઢ કિ.મી.ના રસ્તામાં લગભગ અર્ધો કિ.મી. પણ રસ્તો પુરેપુરો ખુલ્લો નથી. 50 ફુટનો આ માર્ગ ખુલ્લો થાય એટલે વાહન વ્યવહાર માટેનો મોટો રસ્તો ખુલશે. ભાવનગર રોડ તરફથી બ્રીજ વટીને ડાબી તરફ જંગલેશ્વર મારફત સીધા કોઠારીયા રોડ તરફ જઇ શકાય તેમ છે. આ ડિમોલીશન થાય એટલે સોરઠીયાવાડી ચોકનું આ તરફનું ટ્રાફિકનું ભારણ પણ હળવું થવાની આશા છે. હાલ ટીપીના રોડ પર 500 જેટલા મકાનો દેખાઇ રહ્યા છે. કેટલી કેટલી કપાત આવે તે સહિતનો રિપોર્ટ બનાવવામાં આવ્યો છે. આજે સાંજ સુધીમાં સંભવત: સર્વે પુરો થાય એટલે આસામીઓને થોડા દિવસોમાં જ નોટીસ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જંગલેશ્વરના બીજી તરફના ભાગે જ વિશાળ આજી નદીનો પટ આવેલો છે. આજી રીવરફ્રન્ટ પ્રોજેકટ માટે આ નદી પટના દબાણો ધીમે ધીમે દુર કરવામાં આવી રહ્યા છે. યોજનાના મુખ્ય ભાગમાં નદી પટ વિસ્તારમાં જ 6 હજારથી વધુ કાચા પાકા મકાનો આવેલા છે. આ સૌથી મોટા ડિમોલીશન માટે પણ મનપાની ટીપી શાખાએ વહીવટી પ્રક્રિયા કરી છે. આ ડિમોલીશન જયારે થાય ત્યારે પરંતુ જંગલેશ્વરના વિસ્તારમાં પણ 500 જેટલા મકાનો હટાવવાની તૈયારી શરૂ થઇ છે. ટીપીઓ એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે વોર્ડ નં.16ના જંગલેશ્વર મેઇન રોડ પરથી ટીપીનો આ 15 મીટરનો રસ્તો સ્કીમમાં રહેલો છે. આથી વાહન વ્યવહાર માટે તે રોડ ખુલ્લો કરાવાનો છે. તે અંતર્ગત આજે સાંજ સુધીમાં સર્વે પુરો થાય એટલે આસામીઓને નોટીસ આપવાની કાર્યવાહી હાથ ધર લેવાશે.

આ સમાચારને શેર કરો