Placeholder canvas

હાશ : આખરે વાંકાનેરના પેડક વિસ્તારની બાજુમાંથી દીપડો પાંજરે પુરાયો

વાંકાનેર: આજથી 6 દિવસ પહેલા દિગ્વિજય નગરની પાછળના જંગલ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હતી. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. દીપડો દેખાયો હોવાની લોકોની ફરિયાદના આધારે વન વિભાગ એલર્ટ થઈને પાંજરૂ મૂકી દીપડાને પકડી લેવા કવાયત આરંભી હતી. જે બાદ આજે પરોઢિયે સવારે 6 વાગ્યે દીપડો પાંજરામાં દીપડી પુરાઈ જતા વન વિભાગ અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

આ અંગે વાંકાનેર તાલુકના આરએફઓ પ્રતિક નારોડીયા જણાવ્યુ હતું કે, વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં ઘણીવાર દિપડા સહિતના જંગલી પ્રાણીઓ ચડી આવતા હોવાનાં સમાચારો સામે આવે છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી વાંકાનેર શહેરી વિસ્તારોમાં પણ દિપડા દેખા દેતા હોવાના સમાચારો સામે આવ્યા હતા. જેથી અમે સત્વરે દીપડાને કેદ કરવા પાંજરૂ ગોઠવી દીધું હતું. અને લોકોને પણ અપીલ કરી હતી કે દિપડા પાંજરે ન પુરાય ત્યાં સુધી સાવચેતી રાખવી…

દીપડાને પકડી પાડવા માટે વન વિભાગની ટીમે સઘન કામગીરી હાથ ધરી હતી. જેને પગલે આજે વાંકાનેરના દિગ્વિજયનગર પાછળ જ્યાં વન વિભાગે પાંજરૂ મૂક્યું હતું. ત્યાં જ દીપડો પકડાય ગયો હતો. વહેલી સવારે 6 વાગ્યે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે હવે તંત્ર દ્વારા આગળથી સૂચના પ્રાપ્ત થયા બાદ દીપડાનું સ્થળાંતર કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો