હાઉસ બોટ દુર્ઘટના: સ્કુલના બાળકો સહિત 22ના મોત: પિકનીકનો કરૂણ અંજામ
7ની હાલત હજુ ગંભીર: મૃતકોમાં મોટાભાગના બાળકો- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી: સહાયની જાહેરાત
કેરળના મલપ્પુરમમાં ગઈકાલે સાંજે એક હાઉસબોટ દુર્ઘટનામાં બાળકો સહિત 22 લોકોના મોત થયા છે અને હજું કેટલાક લોકોની તલાશ ચાલુ છે તો 10ને બચાવી લેવામાં સફળતા મળી છે. બચાવી લેવાયેલામાંથી 7ની હાલત ગંભીર છે. આ દુર્ઘટનામાં સ્કુલના બાળકોની સંખ્યા મોટી છે.
જેઓ હાઉસબોટમાં સવારી કરવા આવ્યા હતા. મલપ્પુરમના તાનુર ક્ષેત્રમાં આ દુર્ઘટના બની હતી. અહી ઓટુમ્પુરમ પાસે 25-30 લોકોને લઈ જતી હાઉસબોટ ઓચિંતી જ પાણીમાં પલટી ખાઈ ગઈ હતી પણ શા માટે તે સ્થિતિ બની તે અંગે હજુ તપાસ ચાલુ છે. ડુબી ગયેલી બોટને કિનારે લાવવામાં આવી રહી છે. કેરળના પ્રવાસન મંત્રી દુર્ઘટના સ્થળે દોડી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
તથા પ્રધાનમંત્રી રિલીફ ફંડમાંથી મૃતકના પરિવારને રૂા.2-2 લાખ આપવાની જાહેરાત કરી હતી. કેરળના મુખ્યમંત્રી પી.વિજયને આ દુર્ઘટના પર તપાસના આદેશ આપ્યા હતા તથા મૃતકોના પરિવારને રૂા.2-2 લાખનું વળતર આપવા જાહેરાત કરી છે. મૃતક બાળકોની સંખ્યા મોટી છે. તેઓને સ્કુલમાં રજા બાદ અહી પ્રવાસમાં લાવવામાં આવ્યા હતા.