Placeholder canvas

ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ આજે ભરશે ઉડાણ…

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ માનવસહિત ગગનયાન મિશન તરફ એક મોટું પગલું ભરતા ક્રૂ મોડ્યુલને સુરક્ષિત રીતે લેન્ડ કરવાની તૈયારી કરી લીધી છે. તેનું આજે (21 ઓક્ટોબર) શ્રીહરિકોટા ટેસ્ટ રેન્જથી પરીક્ષણ કરવામાં આવશે. ઈસરો સવારે 8 વાગ્યે ગગનયાન મિશન માટેની ટેસ્ટ ફ્લાઈટ TV-D1 લોન્ચ કરશે. આ પરીક્ષણો ક્રૂ મોડ્યુલનું પરીક્ષણ કરશે, જેમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. જેમાં ક્રૂ મોડ્યુલની ફ્લાઇટ, તેનું લેન્ડિંગ અને સમુદ્રમાંથી રિકવરી સામેલ હશે. મોડ્યુલ પરત ફરતા બંગાળની ખાડીમાં લેન્ડ થવાનું છે. ભારતીય નૌકાદળ તેને રિકવર કરશે. આ માટે નેવલ ડાઇવિંગ ટીમ બનાવવામાં આવી છે અને એક જહાજ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

ક્રૂ મોડ્યુલ 17 કિલોમીટરની ઊંચાઈએ રોકેટથી અલગ થઈ જશે. ક્રૂ મોડ્યુલનું વજન 4520 કિગ્રા છે. અત્યાર સુધીમાં, ક્રૂ એસ્કેપ સિસ્ટમને પૃથ્વી પર લાવતા પેરાશૂટના 12 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેન્દ્રથી પ્રક્ષેપણ પછી ક્રૂ મોડ્યુલ 10 કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં પડશે. બંગાળની ખાડીમાં ક્રૂ મોડ્યુલના લોન્ચિંગથી લઈને ઉતરાણ સુધી નવ મિનિટનો સમય લાગશે.

ઈસરોએ કહ્યું હતું કે ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન 1 ની તૈયારીઓ ચાલી રહી છે. આ ક્રૂ-એસ્કેપ સિસ્ટમ મિશનમાં કોઈ અપ્રિય ઘટનાના કિસ્સામાં અવકાશયાત્રીઓને બચાવવા માટે ઉપયોગી થશે. જો ટેક-ઓફ દરમિયાન મિશનમાં કોઈ ભૂલ થશે, તો સિસ્ટમ ક્રૂ મોડ્યુલ સાથે વાહનથી અલગ થઈ જશે, થોડા સમય માટે ઉડાન ભરશે અને શ્રીહરિકોટાથી 10 કિમી દૂર દરિયામાં ઉતરશે. તેમાં બેસેલા અવકાશયાત્રીઓને નેવી દ્વારા સમુદ્રમાંથી સુરક્ષિત પરત લાવવામાં આવશે.

ગગનયાન ભારતનું પ્રથમ અવકાશ મિશન છે, તેને આવતા વર્ષના અંત સુધીમાં અથવા 2025ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. 2024 માં માનવરહિત પરીક્ષણ ઉડાન હશે, જેમાં વ્યોમામિત્ર રોબોટ મોકલવામાં આવશે.

આ સમાચારને શેર કરો