ચોટીલા થાન મૂળીના રબારી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો
ચોટીલામાં રબારી સમાજનાં ત્રણ તાલુકાનાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સમાજની વાડી ખાતે સંતો, મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થી સાથે વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં સમાજના સંતો મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમા પ્રસિધ્ધ ધાર્મિક વડવાળા મંદિર દુધરેજનાં કોઠારી મુકુંદરામ બાપુ, દુધઈ વડવાળા મંદિરના મહંત રામબાપુ, મેસરિયા આપા ઝાલા ની જગ્યાના કોઠારી મગનીરામ બાપુ, ડે. કલેકટર રાજેશભાઈ આલ, ડો. તેજસભાઇ કરમટા, સુર સાગર ડેરી વા. ચેરમેન અલ્પેશભાઇ સાંબડ સહિતનાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સંતો અને અગ્રણીઓનાં હસ્તે દિપ પ્રાગટય અને સરસ્વતી વંદના કાર્યક્રમ સાથે કરવામાં આવેલ હતી તેમજ ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાનાં રબારી સમાજનાં 223 જેટલા વિદ્યાર્થીઓ ને સન્માનપત્ર શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરાયા હતા તેમજ આ વર્ષ દરમિયાન સરકારનાં વિવિધ વિભાગોમાં નિમણુક મેળવેલ આશરે 23 નવ નિયુક્ત કર્મચારી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આગેવાનો અને તજજ્ઞો દ્વારા સ્નાતક થયા પછી જરૂરી કારકિર્દી ઘડતર અંગે નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિશેષ સંતો દ્વારા સમાજ સમક્ષ દિકરીઓને વધુ ને વધુ ભણાવવામાં આવે તેવો ભાર મુકી ક્ધયા કેળવણી માટે જાગૃત કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ટીમ ના તમામ સભ્ય એ જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કામગીરી કરેલ હતી તેમજ વિવિધ દાતાઓએ શિક્ષણ ક્ષેત્રે દાન જાહેર કરી ને ટીમ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.