થાનનાં વગડીયામાં લગ્ન પ્રસંગનાં જમણવારમાં ધોકા ઉડ્યા.!, 7ને ઇજા…
સાત લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
થાનગઢ તાલુકાના વગડીયા ગામમાં એક પરિવાર પર હુમલો થયાની ઘટના સામે આવી છે. જેમાં અંદાજે 10થી વધુ લોકોએ લાકડાના ધોકા અને પાઈપ વડે પરિવારના સભ્યો પર હિચકારો હુમલો કર્યો હતો જેમાં 7 લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીરપર ગામે લગ્ન પ્રસંગ દરમિયાન જમણવારમાં નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જેથી 10થી વધુ લોકોએ લાકડાના ધોકા અને પાઈપ વડે પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટનામાં 2 મહિલા અને 5 પુરુષ સહિત કુલ 7 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેથી એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા હોસ્પિટલે દોડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં થાનગઢ પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.