મોરબીમાં એક જ મહીનામાં સીલીકોસીસથી બીજું મોત !
મોરબીમાં એક જ મહીનામાં સીલીકોસીસથી બીજું મોત થયું છે, આમાં અચરજની વાત તો એ છે કે ૧૯૮૩ લઈ ૨૦૧૨ના ગાળામાં ૨૯ વર્ષ સુધી કામ કર્યું છતાં, તેમની પાસે કોઈ કારખાનામાં કામ કરતાં તેનું આઈ કાર્ડ કે પગાર પાવતી કે પી એફ કે ઇ એસ આઇ નંબર એવું કશું જ ન હતું, કામ કર્યાનો જો કોઈ પુરાવો જ નોહતો ! બસ ફેફસાંમાં ભરેલી સીલીકા જ એક માત્ર પુરાવો હતો.
ડાયાભાઈએ ૧૯૮૩થી લઈ ૨૦૧૨ સુધી અલગ અલગ સીરામીકમાં ભરાઈ અને ચેકીંગ કામ કર્યું. ૨૦૧૨ બાદ તબીયત ધીમે ધીમે બગડતી ચાલી. ધીમે ધીમે આરોગ્ય એટલું કથળ્યું કે કામ જ કરી ન શકે. જુદી જુદી હોસ્પીટલના ચક્કર ચાલતા રહ્યા. પણ કોઈ તબીબે પાકું નીદાન કર્યું નહી.અંતે રાજકોટ શ્વાસ હોસ્પીટલ દ્વારા ડાયાભાઈ અને એમના પરીવારને ખબર પડી કે સીલીકોસીસ છે.
તબીબની સલાહને કારણે નહી પણ શરીર જ ચાલતું ન હોવાને કારણે ડાયાભાઈને ૨૦૧૨ કામ મુકી દેવાની ફરજ પડી. વારંવાર દાખલ કરવા પડતા. ૪ દિવસ આઈ.સી.યુ માં રહ્યા અંતે ૬૦ વર્ષની ઉંમરે તારીખ ૨૩/૦૪/૨૦૨૪ના રોજ સવારે ૫ વાગ્યે મોરબી સીવીલમાં ડાયાભાઈ કહેરભાઈ ધંધુકીયાએ છેલ્લા શ્વાસ લીધા. આમાં અચરજની વાત તો એ છે કે ૧૯૮૩ લઈ ૨૦૧૨ના ગાળામાં ૨૯ વર્ષ સુધી કામ કર્યું છતાં જ્યારે એમની પાસે કોઈ કારખાનામાં કામ કરતાં તેનું આઈ કાર્ડ કે પગાર પાવતી કે પી એફ કે ઇ એસ આઇ નંબર એવું કશું જ ન હતું, કામ કર્યાનો જો કોઈ પુરાવો હતો તો તે હતાં એમના સીલીકા ભરેલાં ફેફસાં!
ઈ. એસ. આઈ કપાતું હોત તો એમના પરીવારને પેન્શન મળી શકત.એપ્રીલ મહીનામાં પહેલાં કરશનભાઈ તારીખ ૧૧/૦૪/૨૦૨૪ ના રોજ અને તે પછી ડાયાભાઈ જતાં એક જ મહીનામાં સીલીકોસીસથી મોરબીમાં આ બીજું મોત નોંધાયું..