Placeholder canvas

આજે 3જી માર્ચ એટલે “વિશ્વ વન્યજીવન દિવસ”

પર્યાવરણનું જતન, આબાદ વતન, ચાલો વન્યજીવોની રક્ષાનો સંકલ્પ કરીએ.

વિશ્વભરમાં દર વર્ષે 3 માર્ચે “વિશ્વ વન્યજીવન દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. 20 ડિસેમ્બર, 2013નાં રોજ, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ, તેની 68 મી મહાસભામાં, વિશ્વભરનાં લોકોને વન્યપ્રાણી સંરક્ષણ માટે જાગૃત કરવા અને વનસ્પતિની લુપ્તપ્રાય જાતિ અંગેની જાગૃતિ માટે દર વર્ષે 3 માર્ચે “ વિશ્વ વન્ય જીવન દિવસ ”ની ઉજવણી કરવાની ઘોષણા કરી હતી.  જૈવ વિવિધતાની સમૃદ્વિ પૃથ્વીને રહેવાલાયક બનાવવા માટે યોગ્ય બનાવે છે, પરંતુ આજના સમયની વક્રોક્તિ એ છે કે સતત વધતું પ્રદૂષણ વાતાવરણ પર એ રીતે વિપરિત અસર કરી રહ્યું છે કે જેના ખરાબ પરિણામ તરીકે જીવ-જંતુઓ અને વનસ્પતિઓની અનેક પ્રજાતિઓ ધીરે-ધીરે લુપ્ત થવાને આરે છે.

રાજ્યમાં વન વિસ્તારનું વર્ગીકરણ ખુબ જ અસમાન છે. આણંદ જીલ્લો સૌથી ઓછો જંગલ વિસ્તાર ધરાવે છે જયારે કચ્છ જિલ્લામાં સૌથી વધુ 5598.83 ચોરસ કિમી વન વિસ્તાર આવેલો છે. દેશમાં કુલ ભૌગોલીક વિસ્તારનાં 4 ટકા વન વિસ્તાર વન્ય પ્રાણી રક્ષિત વિસ્તાર જાહેર થયેલો છે. જેની સામે ગુજરાતમાં 8.8 ટકા વિસ્તાર પ્રાણીઓ માટે આરક્ષિત છે.

રાજ્યમાં દુર્લભ પ્રાણીઓનાં સંરક્ષણ કાર્યક્રમ અન્વયે ઘણાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો પણ છે. રાજ્યમાં સિંહ, દીપડા, રીંછ, ઘુડખર, કાળીયાર, મગર જેવા વન્યજીવોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 513 જાતિના પક્ષીઓ, 114 પ્રજાતિઓનાં સરીસૃપ અને ઉભયજીવી જાતો, 111 પ્રજાતિનાં સસ્તન પ્રાણીઓ અને 7000થી વધારે પ્રજાતિઓનાં કીટકો અને મૃદુકાય જીવો જોવા મળી રહ્યા છે. જેમાંથી હવે ઘણા જીવો અલભ્ય થવા લાગ્યા છે. આ વન્ય જીવન દિવસ નિમિત્તે વનોની સંખ્યામાં વધારો થાય એ બાબતે પ્રયાસો કરવા જોઈએ જેથી વન્ય પ્રાણીઓનું રક્ષણ થઈ શકે.   –મિત્તલ ખેતાણી

આ સમાચારને શેર કરો