Placeholder canvas

વાંકાનેર: કરિયાણાના વેપારી વ્યાજના વિષચક્રમા ફસાયા, વ્યાજખોર સામે ફરિયાદ…

વાંકાનેર : વાંકાનેરના હસનપર ગામે કરિયાણાના વેપારીને ધંધામા જરૂરિયાત પડતા બે વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે અનુક્રમે 5 લાખ અને 12.50 લાખ મેળવી બદલામાં 28.80 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી મફતમાં ચીજવસ્તુઓ પડાવી લઈ જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર પોલીસ મથકમાં બન્ને વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેરના હસનપર ગામે રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા ઉતમભાઇ અવચરભાઇ પીપળીયાએ ધંધામાં જરૂરત પડતા આરોપી ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડા, રહે. જલારામ જીન પાસે, ભાટીયા સોસાયટી વાંકાનેર વાળા પાસેથી 5 લાખ અને સુરેશભાઇ ભલાભાઇ ડાભી, રહે. ધમલપર વાળા પાસેથી રૂ.12.50 લાખ વ્યાજે લીધા હતા.

બાદમાં ઉત્તમભાઈએ આરોપી વ્યાજખોર ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડાને 3.60 લાખ અને સુરેશભાઇ ભલાભાઇ ડાભીને 28.80 લાખ ચૂકવી દેવા છતાં પણ બન્ને આરોપીઓ વધુ પૈસા કઢાવવા ધાકધમકી આપી દુકાને આવી મફતમાં ચીજ વસ્તુ પડાવી જઈ ઉઘરાણીનો હવાલો આપી દઇ જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે ઉતમભાઈની અરજી બાદ વાંકાનેર સીટી પોલીસે બન્ને વ્યાજખોર વિરુદ્ધ આઇપીસી કલમ 384, 506 તથા ગુજરાત નાણા ધીરધાર કરનારાઓ બાબતે અધિનિયમ 2011 ની કલમ 5, 40, 42(એ), 42(ડી) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો