ટંકારા: લખધીરગઢ પ્રાથમિક શાળામાં ‘તુલસી દિવસ’ તુલસી પૂજનનું આયોજન કરવામાં આવ્યું.
આપણી સંસ્કૃતિ, આપણો વારસો. આપણું વિજ્ઞાન, આપણી ઓળખ” થી બાળકો પરિચિત થાય તે માટે અનોખો પ્રયાસ…
“25 ડિસેમ્બર એટલે તુલસી દિવસ” “હર ઘર તુલસી” “આપણી સંસ્કૃતિ, આપણો વારસો. આપણું વિજ્ઞાન, આપણી ઓળખ” થી બાળકો પરિચિત થાય તે માટે લખધીરગઢ પ્રાથમિક શાળામાં તુલસી પૂજનનું આયોજન કરવામાં આવ્યું.
તુલસી માત્ર છોડ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. લગભગ દરેકના ઘરમાં તુલસીના છોડ હોય જ છે, પરંતુ તેનું શું મહત્વ છે તે બધાં બાળકો જાણતા હોતા નથી. તેમના ઔષધીય ગુણોથી પરિચય હોતો નથી. જેમ કે તુલસીનો છોડ જંતુઓને ભગાડે છે. તુલસીના છોડમાં ઉચ્ચ પોષણ મૂલ્ય હોય છે. તુલસી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તુલસીનો છોડ સ્વસન સંક્રમણ સામે લડી શકે છે. તુલસીનો છોડ હૃદયને ફાયદો કરે છે.
તુલસીનો છોડ દાંતના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે.
તુલસીનાં સેવનથી અગણિત લાભ થતાં હોવાથી તેનો આયુર્વેદમાં પણ ઉલ્લેખ છે. ‘સુશ્રુત સંહિતા’ અને ‘ચરક સંહિતામાં’ પણ તુલસીને ગુણકારી કહેવામાં આવી છે. તુલસી એક ઉત્તમ ઔષધિ છે. ભારતીય પૌરાણિક હિંદુ ફિલસૂફીમાં નોંધનીય છે. તુલસીના છોડને અંગ્રેજીમાં હોલી બેસિલ કહે છે. ભારતમાં સામાન્ય રીતે ત્રણ પ્રકારની તુલસી જોવા મળે છે. રામ તુલસી, કૃષ્ણ તુલસી અને વન તુલસી.
આવી બધી વાતો શાળાના શિક્ષિકા શ્રી પીપલીયા જીવતીબેન, હીનાબેન દેવમુરારી, ધર્મિષ્ઠાબેન માકાસણા અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી. અંતમા તુલસી માતાનું પૂજન કર્યું. સૌએ હોંશભેર ભાવવંદના કરી.