Placeholder canvas

વાંકાનેર: સીરામીક કારખાનામાં ચોરીની શંકાએ માર મારતા તેનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો

By શાહરૂખ ચૌહાણ વાંકાનેર
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સિરામિકના લેબર કવાર્ટરમાં અજાણ્યા પુરુષે માતા-પુત્રીનું ગોદડું ખેચતા દેકારો કરતા ચોરીની શંકાએ પાંચ શખ્સોએ માર મારતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો છે તો બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સીમ ફલાય સિરામિકના લેબર કવાર્ટરમાં અજાણ્યો પુરુષ (ઉ.૨૫ થી ૩૫ આશરે) ગત તા.૯ ના રાત્રીના ૨ થી ૩ વાગ્યાના આરસમાં આરોપી બબુદીન ઉર્ફે રાજુભાઈ અલીખાન રહે-ઉતરપ્રદેશની પત્ની બાનુબેન તથા તેમની દીકરી લેલાબેન સુતા હતા ત્યારે તેમનું ગોદડું ખેચતા માતા-પુત્રી જાગી ગયા હતા અને બંનેએ દેકારો કરતા

અજાણ્યો ઇસમ ચોરી કરવા આવેલ હોવાનું લાગતા આરોપી બબુદીન ઉર્ફે રાજુભાઈ અલીખાન, કપિલકુમાર વીરપાલસિંહ, રાહુલકુમાર સંજયસિંહ, મહેન્દ્રસિંહ ઘરનાસિંહ અને અસલમ જાબુદીન મલીક રહે તમામ ઉતરપ્રદેશ વાળાઓએ અજાણ્યા પુરુષને પકડી લાકડી વડે માર મારી માથું પકડી પછાડી ઢોર માર મારતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર પોલીસ મથકમાં રજનીશભાઈ હસમુખભાઈ કોઠીયા એ હત્યાની ફરિયાદ નોધાવી છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો