Placeholder canvas

શરદી-ખાંસીનો અકસીર ઈલાજ તમારા રસોડામાં જ છે.

નાકમાં, ગળામાં ચચરાટ થાય, માથું ભારે લાગે. નાકમાંથી પાણી પડે. વારંવાર છીંકો આવે. સાધારણ તાવ જેવું લાગ્યા કરે. ગળામાં કશુંક અટકતું લાગે, ખાંસી આવ્યા કરે.

શિયાળામાં ઠંડીને કારણે ઉપર જણાવ્યા તેમાંના કેટલાંક કે ક્યારેક બધાં લક્ષણો સાથે શરદી-ખાંસી વારંવાર થયા કરતી હોય છે. પરંતુ આ વર્ષે ત્રણેય ઋતુની મિશ્રઋતુ હોવાથી હાલમાં પણ આવી તકલીફ જોવા મળી રહી છે, ત્યારે ચાલો જાણીએ આવા લક્ષણો દેખાય ત્યારે શું કરવું ?

શરદી એ આમ તે સાવ સામાન્ય રોગ છે, પરંતુ વારંવાર થવાને કારણે તેની અસર શરીરના બીજા અવયવો જેવા કે પાચનતંત્ર, મન વગેરે પર પણ થાય છે. શરદીને કારણે ચીડીયા થઈ જવાય, ભૂખ ઓછી લાગે, કામ કરવાનું મન ન થાય, અશક્તિ લાગે વગેરે નાની-મોટી બીજી તકલીફો પણ રહ્યાં કરે.

તો ચાલો, એવા ઉપચારો વિષે જાણીએ જેની સામગ્રી તમને તમારા કિચનમાં જ મળી રહેશે અને જે કોઈ પણ આડઅસર વગર શરદી – ખાંસીથી છૂટકારો અપાવશે.

હળદર

શરદીમાં હળદર ખૂબ રાહત આપે છે. તે શ્વસન માર્ગમાં જામેલા કફને દૂર કરે છે. તે એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાઈરલ હોવાથી ઈન્ફેકશનને દૂર કરે છે. હળદરનો પ્રયોગ આ રીતે કરી શકાય. ગરમ દૂધમાં ૧ ચમચી હળદર અને ચપટી મરીનું ચૂર્ણ નાંખી પીવું.. ૧ કપ પાણી ઉકાળી બે ચમચી હળદર ચૂર્ણ, ૧ ચમચી શુદ્ધ ઘી, ચપટી મીઠું નાખી થોડું ઠંડું પડે પછી પીવું. ખાસ કરીને રાત્રે આવતી ખાંસીમાં આ દવા ફાયદો કરે છે. લીલી હળદરના ત્રણથી ચાર ગાંઠિયાનો રસ કાઢી તેમાં એક ચમચી મધ ઉમેરી પીવું. ગળામાં બળતરા કે ચચરાટ થતો હોય તો નવશેકા પાણીમાં ચપટી હળદર અને મીઠું નાંખી તેના કોગળા કરવા.

મરી

  • મરી એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે તેથી જ શરદી, ફ્લૂ, ખાંસીને દૂર કરવા માટે તે અકસીર છે.
  • સૂંઠ, મરી અને પીપર આ ત્રણેય ઔષધોના ચૂર્ણને સરખા ભાગે ભેળવી રોજ ૧ ચમચી ધી, મધ, ગરમ દૂધ કે નવશેકા પાણી સાથે લેવું.
  • બે મરીને વાટી તેના ચૂર્ણને એક ચમચી મધમાં લસોટી ચાટી જવું. આનાથી સૂકી ખાંસીમાં ખૂબ રાહત થાય છે અને અવાજ ખૂલે છે.

આદુ

  • સહેજ તીખો સ્વાદ ધરાવતું આદુ શરદી અને ફ્લુની રોકથામ અને ઈલાજ માટે તો જાણીતું છે. આદુ  લીંબુનો જ્યુસ ખૂબ તાજગીદાયક છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
  • એક કપ પાણીમાં થોડાં તુલસીના પાન, બે મરી અને થાડું પીસેલું આદુ નાંખી ઉકાળવું. થોડું ઠંડુ થાય પછી ગાળી, અક ચમચી મધ નાંખીને પીવું. આદુ- તુલસીની ચ્હાથી કફ છૂટો પડે છે અને શરદીમાં તરત રાહત થાય છે.
  • આ ઉપરાંત છાતી પર, કપાળ પર, નાક-ગળા પર સરસિયાનું માલીશ કરવું.
  • ગરમ પાણીની વરાળનો નાસ લેવો.
  • જ્યારે શરદી-ખાંસી ન હોય ત્યારે પ્રાણાયામ કરવો. ઊંડા શ્વાચ્છોશ્વાસની કસરત કરવાથી વારંવાર શરદી થતી અટકાવી શકાય છે.
  • ખોરાકમાં મોસમી ફળો, લીલાં શાકભાજી, સલાડ, સૂપ વગેરેનો સમાવેશ કરવો. સૂપ કે રાબ જેવી પ્રવાહી વાનગી સૂંઠ નાંખી પીવી.
  • ખોરાક તાજો, ગરમ, તરત પચી જાય તેવો જ લેવો.
આ સમાચારને શેર કરો