Placeholder canvas

7 વર્ષની શ્રમિક પરિવારની અપહૃત બાળકીનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

સરતાનપર રોડ પર સિરામિક ફેકટરીમાં કામ કરતા એક મજૂર પરિવારની બાળકીનું બે દિવસ પૂર્વે અપહરણ થયું હતું. આ બાળકીનો આજે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક રીતે બાળકીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સરતાનપર રોડ પર સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના એક શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકી બે દિવસ પૂર્વે એકાએક ગુમ થઈ જતા તેઓએ તાલુકા પોલીસ મથકે અપહરણની ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે આ મામલે ધોરણસરની કાર્યવાહી કરી બાળકીની તપાસ પણ હાથ ધરી હતી. સીસીટીવી ફુટેજમાં બાળકી રમતી રમતી ક્યાંક જતી રહી હોવાનું દેખાયુ પણ હતું.

બાદમાં આજે આ 7 વર્ષની બાળકીનો મૃતદેહ કારખાનાં બાજુમાં આવેલ પાંજરાપોળની હદ પાસેથી મળ્યો છે. આ મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હોવાનું પોલીસમાંથી જાણવા મળી રહ્યું છે. ઘટના અંગે જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી. બાદમાં મૃતદેહ શંકાસ્પદ લાગતા તેને ફોરેન્સિક પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો છે. હાલ આ મામલે પોલીસે સઘન તપાસ આદરી છે.

આ સમાચારને શેર કરો