શક્તિસિંહ ગોહિલનો પૂરની સ્થિતિને લઈ આક્ષેપ
મધ્ય ગુજરાતમાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં નર્મદા નદીમાં પૂર આવ્યું છે. સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યા હતા કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે સરદાર સરોવર ડેમને છલોછલ ભરવામાં આવ્યો હતો.ઉજવણીના ભાગરૂપે એક સાથે પાણી છોડાતા આસપાસના ગામડાની જમીનો ધોવાઈ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ભાજપની આ નૌટંકી સરકારે વડાપ્રધાનને વ્હાલા થવા માટે આ પગલું લીધું હતું. તેના કારણે નર્મદા અને આસપાસના વિસ્તારોના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
158 ગામોમાં અંઘારપટ છવાયું
સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું. ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઘોડાપુર વચ્ચે 158 ગામોમાં અંઘારપટ છવાયું.દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ સર્કલ દ્વારા સલામતીના કારણોસર નર્મદાના 137 અને ભરૂચના 21 ગામોનો વીજ પુરવઠો કટ ઓફ કરાયો.ભરૂચ શહેરમાં મકતમપુર, ગોલ્ડનબ્રિજ, દશાશ્વમેઘ, ફુરજા, સોમનાથ-લોઢવાણનો ટેકરા વિસ્તારમાં પણ પાણી સાથે વીજળી ડૂલ કરાઈ છે. પાણી ઓસરતા જ વીજ પુરવઠો પુનઃ શરૂ કરાશે.