RTEમાં વાલીએ આજે પ્રવેશ મેળવી લેવો પડશે
શિક્ષણ વિભાગ દ્વારા ચાલી રહેલી રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ માટે આજે વાલીએ અસલ આધાર પુરાવા સાથે શાળામાં પ્રવેશ મેળવી લેવો પડશે.
આરટીઇ હેઠળ પ્રથમ રાઉન્ડના પ્રવેશ અંગે વાલીને SMS થી જાણ કરવામાં આવી છે. જે વિદ્યાર્થી એડમિશનને પાત્ર છે તે તમામ વિદ્યાર્થીએ આજે શનિવાર સુધીમાં જે તે શાળામાં રૂબરૂ જઇને પ્રવેશ મેળવી લેવો પડશે. આ સંદર્ભે વાલીને કે શાળાને કોઈ મુશ્કેલી હોય તો જિલ્લા કચેરી પર સંપર્ક કરવાનો રહેશે. જે વાલીને પ્રવેશ અંગે મેસેજ નથી મળ્યો તેઓ આરટીઇ પોર્ટલ પર અરજીની સ્થિતિના મેનુ પર જઇ વિદ્યાર્થીનો એપ્લિકશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરી ચકાસણી કરી શકશે.
જે વાલીને પ્રવેશ નથી મળ્યો એ વાલીને 13 મે પછી બીજા રાઉન્ડ પહેલાં ખાલી રહેલી જગ્યા ઉપર ફરીથી પસંદગીની તક આપ્યા બાદ બીજો પ્રવેશ રાઉન્ડ બહાર પાડવામાં આવશે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે વિભાગને કુલ 98,501 જેટલી અરજી ઓનલાઈન પ્રાપ્ત થઈ હતી. જેમાંથી 68,135 જેટલી અરજી માન્ય ઠેરવવામાં આવી હતી.