મોરબી-વાંકાનેરમાં નવા બસ સ્ટેન્ડ બનશે : શુક્રવારે થશે ઇ-ખાતમુહૂર્ત

મોરબીમાં ૫૪૩.૫૬ લાખ, જ્યારે વાંકાનેરમાં ૪૨૨.૭૬ લાખના ખર્ચે સુવિધાયુક્ત નવા બસ સ્ટેશન બનશે

મોરબી : કોરોના કાળમાં પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સમગ્ર રાજ્યના ૯ બસ સ્ટેશન–ડેપો વર્કશોપ તેમજ ૫ બસ સ્ટેશન–ડેપો વર્કશોપનું ઇ-ખાતમૂહુર્ત કરાશે. જેમાં મોરબી જિલ્લામાં મોરબી અને વાકાંનેરના બસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આગામી ૪-૬-૨૦૨૧ ના શુક્રવારે સવારે ૧૦:૩૦ કલાકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇના હસ્તે ગાંધીનગર ખાતેથી ઇ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી ખાતે બસ સ્ટેશનના ખાતમૂહુર્ત પ્રસંગે પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલ તેમજ વાકાંનેર ખાતે પશુપાલન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થિત રહેશે.

રાજકોટ એસ.ટી. વિભાગ હેઠળના મોરબીના અદ્યતન બસ સ્ટેન્ડના બાંધકામ માટે રૂ. ૫૪૩.૫૬ લાખની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે વાંકાનેરના બસ સ્ટેન્ડ માટે રૂ. ૪૨૨.૭૬ લાખના ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત બસ સ્ટેશનનું ઈ-ખાતમૂહુર્ત મુખ્યમંત્રીના હસ્તે યોજાશે.

નવા બસસ્ટેશનમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેને વેઇટીંગ હોલ, સ્ટુડ્ન્ટ પાસ, રીઝર્વેશન રૂમ, ડેપો મેનેજર રૂમ, કંટ્રોલ રૂમ, સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂમ, એડમીન ઓફિસ, વી.આઇ.પી. વેઇટીંગ લોંજ, કેન્ટીન, વોટર રૂમ, સ્ટોલ કમ શોપ, ઇલેક્ટ્રીક રૂમ, પાર્સલ રૂમ, લેડીજ રેસ્ટ રૂમ, બેબી ફિડીંગ રૂમ, મુસાફર જનતા માટે શૌચાલયની ગ્રાઉન્ડ ફ્લોર પર સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જ્યારે પ્રથમ માળે કેશ રૂમ, બુકીંગ રૂમ, ટ્રે રૂમ, નાઇટ ક્રુ, રેસ્ટ રૂમ, સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો