ગુજરાત સરકારનો નિર્ણય, સરકારી નોકરીમાં અગ્નિવીરોને મળશે પ્રાધાન્ય…
ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત આર્મ્ડ પોલીસ અને SRP ભરતીમાં અગ્નિવિરોને પ્રાધાન્ય અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર ટ્વીટ કરી માહિતી આપી છે. આ સાથે જ વિપક્ષ પર આક્ષેપ કરતા કહ્યું કે અગ્નિવીર અને અગ્નિપથ યોજનામાં વિપક્ષ ભ્રમ ફેલાવી રહ્યું છે.
CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી જાહેરાત કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર લખ્યું છે કે, અગ્નિપથ યોજના અને અગ્નિવીર અંગે વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવેલી મૂંઝવણ વાહિયાત અને નિંદનીય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેના અને આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં ઘણા નવા સુધારા થઈ રહ્યા છે. અગ્નિપથ યોજના પણ આવી જ એક પહેલ છે.
પોલીસ-SRPની ભરતીમાં અગ્નિવીરને પ્રાથમિકતા અપાશે
વધુમાં તેમણે લખ્યું કે, અગ્નિવીરના કારણે ભારતીય સેના વધુ યુવા બનશે. આ યોજના દેશના આવા બહાદુર યુવાનોને તૈયાર કરશે, જેઓ સેનામાં સેવા કર્યા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપશે. સશસ્ત્ર પોલીસ અને SRPની ભરતીમાં ગુજરાત સરકાર અગ્નિવીરને પ્રાથમિકતા આપશે.

