ટંકારામાં પારકી જમીન પર દુકાનો બનાવનાર ત્રણ સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ.
ટંકારા : ટંકારામાં આવેલી કિંમતી જમીન ઉપર ત્રણ શખ્સોએ ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી કબ્જો કરી લેતા ખેડૂતની ફરિયાદને આધારે ટંકારા પોલીસ મથકમાં લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા દિપકભાઈ કરમશીભાઈ મારવણીયાએ ટંકારા શહેરમાં આવેલ રેવન્યુ સર્વે નંબર ૭૩૫ની વાડાની જમીન હે.૦-૭૬-૮૯ ચો.મી વાળી જમીન ખરીદ કરી હતી જે જમીન ઉપર વર્ષ 2016માં આરોપી આમદભાઈ નુરાભાઈ માંડકીયા રહે. ટંકારા, હનિફભાઈ નુરાભાઈ માડકીયા રહે. સરકારી દવાખાના પાસે ટંકારા તથા અલીભાઈ આમદભાઈ બાદી રહે. ખીજડીયા ગામ વાળાએ ગેરકાયદેસર કબ્જો કરી દુકાનો બનાવી નાખી જમીન પચાવી પાડતા આ મામલે દિપકભાઈએ મોરબી જીલ્લા કલેક્ટર કચેરી ખાતે લેન્ડગ્રેબીંગ એક્ટના નવા કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવા અરજી કરેલ હતી અને તપાસના અંતે કલેક્ટર દ્વારા લેન્ડગ્રેબીંગ એક્ટ મુજબ પગલાં ભરવા હુકમ કરવામાં આવ્યો હતો.
દરમિયાન ટંકારા પોલીસ દ્વારા દિપકભાઈ કરમશીભાઈ મારવણીયાની ફરિયાદને આધારે આરોપી આરોપી આમદભાઈ નુરાભાઈ માંડકીયા રહે. ટંકારા, હનિફભાઈ નુરાભાઈ માડકીયા રહે. સરકારી દવાખાના પાસે ટંકારા તથા અલીભાઈ આમદભાઈ બાદી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) તથા આઇ.પી.સી.કલમ-૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.