Placeholder canvas

મોરબી:ટીંબડી પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત; કારમાં સવાર 5ના મોત

મોરબી : ગત મોડી રાત્રે મોરબી નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે મૃત્યુ પામેલા પાંચેય યુવકો મૂળ રાજસ્થાનના છે. તેઓ મોરબીમાં રહીને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ ઓફિસેથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી નજીક ટીંબડીના પાટિયા પાસે ગત મોડી રાત્રે જીજે 36 એફ 1059 નંબરની કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કાર સવાર પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા આનંદસિંગ પ્રભુરામ સેખાવત (ઉ.વ. 35) રહે. ગણેશનગર, ટીંબડીના પાટિયા પાસે વાળાની સાથે તારાચંદ તેજપાલ બરાલા (ઉ.વ.25), અશોક કાનારામ બિરડા (ઉ.વ. 24), વિજેન્દ્રસિંગ અને અન્ય એક વ્યક્તિ મળી કુલ 5 લોકો લક્ષ્મીનગર ખાતે આવેલી આશીર્વાદ ટ્રાન્સપોર્ટથી ઘરે પરત આવતા હતા. ત્યારે તેઓની કાર બંધ ટ્રક પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ બનાવ અંગે જાણ થતા ડીવાયએસપી રાધિકા ભારાઈ તેમજ તાલુકા પીઆઇ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.વધુમાં જાણવા મળતી માહિતી મુજબ આનંદસિંગ ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવે છે. વિજેન્દ્રસિંગ તેમના મહેતાજી છે. જયારે બાકીના વ્યક્તિ પણ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા છે. વધુમાં આનંદસિંગના પાંચેક મહિના પૂર્વે જ લગ્ન થયા હતા. તેવામાં ઓફિસેથી પરત આવતી વખતે કાળ ભેટી જતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

આ સમાચારને શેર કરો