અમરેલી જિલ્લામાં ફરી 3.1ની તિવ્રતાનો ભૂકંપ આંચકો આવ્યો.
અમરેલી જિલ્લાના ગીર કાંઠાના મીતીયાળા સહિતના ગામોમાં આજે સવારે ફરી 3.1નો ભૂકંપ આવતા લોકો ફફડયા છે. અમરેલી જિલ્લાના ગીર કાંઠાના મીતીયાળા તથા આજુબાજુના વિસ્તારો જાણે ભૂકંપનું કેન્દ્રબીંદુ હોય તેમ છાસવારે ભૂકંપના આંચકાઓ આવતા હોય છે.
આ વિસ્તારોમાં રહેતા લોકો ભૂકંપના ડરથી થરથર કાપી રહ્યા છે અને ગાંધીનગર ખાતેથી અગાઉ સિસ્મોલોજીની ટીમ પણ આ વિસ્તારમાં તપાસ કરવા દોડી આવી હતી અને લોકોને મોટા ધરતીકંપ આવે તેવી શકયતા નહીં હોવાનું પણ જણાવાયું છે. આજે સવારે 9:06:31ના સમયે અમરેલીથી 44 કિ.મી. દુર ગીરકાંઠાના મીતીયાળા, સાકરપરા તથા ખાંભા તાલુકાના ભાડ, વાંકિયા, સહિતના ગામમાં 3.1ની તિવ્રતાનો આંચકો આવ્યાનું ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે જણાવ્યું હતું. આમ આ પંથકમાં છાસવારે ભૂકંપના આંચકાઓ આવતા લોકો ભૂકંપના ડર નીચે જીવી રહ્યા છે.