બાળકોને 6 વર્ષ બાદ જ ધોરણ-1માં પ્રવેશ આપવા શિક્ષણ મંત્રાલયે કરી તાકીદ
કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો (UT)ને આદેશ કર્યો છે કે આગામી શૈક્ષણિક સત્ર (2024-25)થી ધોરણ 1માં પ્રવેશ માટે બાળકોની ઉંમર છ વર્ષથી વધારે હોવી જોઈએ. શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 તથા વિના મૂલ્યે તથા ફરજીયાત શિક્ષણનાઅધિકાર અધિનિયમ-2009ની જોગવાઈ પ્રમાણે આ વ્યવસ્થા કરી છે.મંત્રાલયે આ અંગે 15 ફેબ્રુઆરીના રોજ શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગને પત્ર પણ લખ્યો છે તથા વર્ષ 2024-25ના શૈક્ષણિક સત્રમાં ધોરણ-1માં પ્રવેશ માટે આ નિયમને લાગૂ કરવા કહેવામાં આવ્યું છે.
ધોરણ 1માં પ્રવેશ માટે ઓછામાં ઓછી ઉંમર 6 વર્ષ સુનિશ્ચિત કરવા પાછળનો ઉદ્દેશ બાળકોના સમગ્ર વિકાસને સુનિશ્ચિત કરવાનો છે. છ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના માનસિક અને શારીરિક વિકાસ પૂરો હોતો નથી. તેમને શીખવા માટે એક અલગ પ્રકારના માહોલની જરૂર હોય છે. ધોરણ 1માં જલ્દીથી પ્રવેશ લેવાની ઉતાવળમાં તેમની ઉપર બોજ વધી જાય છે. અને તેની તેમના એકંદરે વિકાસ પર અસર થાય છે. અલબત બાળકની ઉંમર છ વર્ષ પૂરી થતી ન હોય અને આ સંજોગોમાં ધોરણ -1માં પ્રવેશ ન મળે તો તેનાથી ડરવાની જરૂર નથી કારણ કે તેમને કિંડરગાર્ડન અથવા પ્રી-સ્કૂલમાં પ્રવેશ અપાવી શકાય છે.