Placeholder canvas

વાંકાનેર: સીંધાવદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ૩૪ ગામોને પીવાનુ શુદ્ધ પાણી મળશે

વાંકાનેર: રાજ્ય સરકારે પાણીના પ્રોજેક્ટ સહિતના વિકાસકાર્યો અવિરત રાખી લોકોને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળે તે માટે આયોજન કર્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની તેમજ ખેતી માટેના સિંચાઇ વ્યવસ્થા સહિતની યોજનાઓ ના અનેક કાર્યો પૂર્ણ થયા છે અને હજુ પણ કેટલાક કામો ચાલુ છે.

પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે મોરબી અને રાજકોટ જિલ્લાના ગામોને પીવાનું પાણી પૂરું પાડતી જુથ યોજનાઓના નવા કામોનું નિરીક્ષણ કર્યું હતું.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ૩૪ ગામોને વધારે ફોર્સથી અને પૂરતા પ્રમાણમાં પાણી મળે તે માટે એક વધારાની વ્યવસ્થાના ભાગરૂપે નર્મદા એન.સી. ૩૪ લીંકમાંથી પાણી લઈને સીંધાવદર ખાતે મોટો વોટર ટ્રીટમેન્ટ સમ્પ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. રૂપિયા નવ કરોડના ખર્ચે અહીં સમ્પ સહિતના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે અને કામ પ્રગતિમાં છે.

મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ કામો વહેલાસર પૂર્ણ થાય અને આયોજન મુજબ સમાવેશ પામેલ આ બધા જ ગામોને લાભ મળે તે માટે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત વેળાએ પાણી પુરવઠા બોર્ડના રાજકોટના કાર્યપાલક ઇજનેર એચ.બી. જોધાણી, વાંકાનેર નાયબ કલેકટર શેરસીયા, વાંકાનેરના ઇન્ચાર્જ મામલતદાર પટેલ તેમજ સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો