ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં? જાણો હવામાન વિભાગની આગાહી
અમદાવાદ: રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મંગળવારે નલિયાનું તાપમાન 10.4 ડિગ્રીએ પહોંચ્યું હતુ. જ્યારે અમદાવાદનું તાપમાન 17 ડિગ્રીની આસપાસ નોંધાયું હતુ. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે. મનોરમા મોહન્તીએ મંગળવારે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. રાજ્યમાં હાલ વરસાદ થવાની કોઇ સંભાવના નથી.
દક્ષિણ ભારતમાં કહેર મચાવનાર મિચૌંગ વાવાઝોડા અંગે તેમણે જણાવ્યુ કે, આ વાવાઝોડાને કારણે દેશના દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ત્યારે આની કોઇપણ અસર ગુજરાત પર થવાની વધારે સંભાવના નથી.
રાજ્યમાં તાપમાન અંગે તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટાભાગે ફેરફાર થવાની સંભાવના નથી. આ સાથે તેમણે જણાવ્યુ કે, દાહોદ, મહીસાગર, પંચમહાલ, અરવલ્લીમાં હાલ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જ્યારે રાજ્યમાં અન્ય જગ્યાએ હવામાન ડ્રાય રહેવાની શક્યતા છે.