Placeholder canvas

વાંકાનેર: ગાયત્રી મંદિર પાસે દીપડાએ 8 પશુનું મારણ કર્યું. 

વાંકાનેર : વાંકાનેર શહેરમાં રાત્રીના સમયે દીપડાએ ફરી પાછી દેખા દીધી છે. આ દીપડાએ ગાયત્રી મંદિર પાસેના વિસ્તારમાં માલધારીના વાડામાં ઘુસીને છ ઘેટા અને બે બકરાનું મારણ પણ કર્યું છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેરમાં ગાયત્રી મંદિર નજીકના વિસ્તારમાં મધુબેન ચારોલીયાના પશુ વાડામાં હતા. રાત્રીના સમયે આ વાડામાં દીપડો આવી ગયો હતો. દીપડાએ છ ઘેટા અને બે બકરાનું મારણ કર્યું હતું. આ મામલે વન વિભાગને જાણ કરાતા વન વિભાગ દ્વારા દીપડાને પાંજરામાં પુરવા કવાયત હાથ ધરાઈ છે.

વન વિભાગની ટીમે બનાવ સ્થળે પહોંચી તપાસ કરી હતી અને સરકારના નિયમ પ્રમાણે પશુ દીઠ રૂ. 5 હજાર એટલે કે કુલ રૂ. 40 હજારની સહાય માલધારી પરિવારને આપવાની આગળની કાર્યવાહી શરૂ કરી છે. દીપડાને પકડવા માટે પીંજરું મુકવા સહિતની કામગીરી પણ વન વિભાગે શરુ કરી છે.

આ સમાચારને શેર કરો