Placeholder canvas

સહકારી મંડળીઓની ચૂંટણી ટળી : 31 ડીસેમ્બર સુધી હોદ્દેદારો યથાવત

અગાઉ 31 જુલાઇ સુધીમાં સાધારણ સભા યોજી ચૂંટણી કરવાના પરિપત્ર બાદ વકરતા કોરોના સંક્રમણને ઘ્યાને લઇ મુદત લંબાવતી સરકાર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની હજારો સહકારી મંડળીઓની ચૂંટણી ગુજરાત રાજયના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે 31 ડિસેમ્બર સુધી મોકુફ રાખવાનો એક પરિપત્ર કરીને હાલના હોદેદારોને યથાવત રાખતો આદેશ કર્યો છે. ગુજરાત રાજય સરકારે રાજકોટ સહિત તમામ જિલ્લા રજીસ્ટ્રારને એક પરિપત્ર કરી તમામ સહકારી મંડળીના હોદેદારોને જાણ કરવા સૂચના આપી હોવાનું જાણવા મળેલ છે.

આ અગાઉ ગુજરાત રાજય સરકારે 31/7/2020 સુધીમાં સહકારી મંડળીના હોદેદારોની ચૂંટણી કરવા માટે સાધારણ સભા બોલાવવા માટે અને નવા હોેદેદારો ચૂંટવા પરિપત્ર કર્યો હતો. પરંતુ કોરોના સંક્રમણ વધી રહ્યું હોય તેમજ કેન્દ્ર અને ગુજરાત રાજય સરકારની ચારથી વધુ વ્યકિત એકઠા ન કરી શકાય તેવા નિયમો સાથેની જોગવાઇઓ અમલી હોય, રાજય સરકારે હવે 31 ડિસેમ્બર સુધી તમામ સહકારી મંડળીની ચૂંટણી ટાળી હોય એક પરિપત્ર દ્વારા જણાવાયું છે.

ગુજરાત રાજય સરકારના કૃષિ અને સહકાર વિભાગે જણાવ્યું છે કે સહકારી મંડળીઓએ વ્યવસ્થા કમિટીની મુદત 31/7 સુધી લંબાવી હતી. નિર્દિષ્ઠ સહકારી મંડળીઓની ચૂંટણીઓ યોજવામાં ઓછામાં ઓછો 4પ દિવસનો સમય ચૂંટણી જાહેર કર્યાની તારીખથી થાય છે. સભા સદન સંખ્યા વધારે હોય છે અને કાર્યક્ષેત્ર પણ ખૂબ જ મોટુ હોય છે. હાલમાં રાજયના વિવિધ શહેરોમાં માઇક્રો ક્રન્ટેનમેન્ટ ઝોન જાહેર કરેલા છે. જે સંદર્ભે આવા વિસ્તારોમાં રહેતા સભાસદો જો ચૂંટણી જાહેર કરવામાં આવે તો મતદાન કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. રાજય સરકારના સહકારી મંડળીના નાયબ સચિવ અતુલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સહકારી મંડળી અધિનિયમ 1961ની કલમ 164 હેઠળ મળેલી સત્તા અન્વયે સહકારી મંડળી સહિત તમામ મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની મુદત વધારવા માટે રાજય સરકારે મંજૂરી આપી છે.

દરમિયાન કૃષિ અને સહકાર વિભાગના સચિવે વધુમાં જણાવ્યું હતું કે રાજય સરકારના આદેશ બાદ સહકારી મંડળીની કલમ 74 અન્વયે તમામ સહકારી મંડળીઓની હાલમાં જ ચાલુ વ્યવસ્થાપક કમિટીઓને ચૂંટણી યોજવામાંથી મુકિત આપવામાં આવે છે. આ ઉપરાંત ચૂંટણીની તારીખ 31/12/2020 સુધી લંબાવવામાં આવે છે અને ત્યારબાદ રાજય સરકારના આદેશ પછી જો ચૂંટણી યોજવાની મંજૂરી આપવામાં આવશે તો સભાસદોને બોલાવી સહકારી મંડળીના હોદેદારોની ચૂંટણી યોજવામાં આવશે.

આ ઉપરાંત સહકારી મંડળીઓ સહિત માન્ય તમામ મંડળીઓની ચૂંટણી પ્રક્રિયા ન્યાયીક હુકમ ચૂકાદાને અનુસંધાને હાથ ધરાયેલ હોય કે ધરવાની થતી હોય તો સહકારી મંડળીઓને આ જાહેરનામાથી બાકાત રાખવાનો પણ રાજય સરકારે આદેશમાં જણાવ્યું છે.

સાધારણ સભા યોજવા સામે 31 માર્ચ 2021 સુધની મુદત લંબાઇ
ગુજરાત રાજય સરકારે સહકારી મંડળી અધિનિયમન કલમ 77 હેઠળ નાણાકીય વર્ષ પૂર્ણ થયા બાદ છ મહિનાની અવધીમાં સામાન્ય સભા બોલાવવાની હોય છે. મંડળીઓનું નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચ હોય છે અને મંડળીના હોદેદારોએ મોડામાં મોડુ 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં સાધારણ સભા બોલાવવાનું ફરજીયાત હોય છે.

રાજકોટ સહિત રાજયભરમાં હાલ કોરોનાની ગંભીર પરિસ્થિતિ ચાલી રહી છે. રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારે વિવિધ ગાઇડ લાઇનો અમલી કરી સામાજીક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક આયોજનો પ્રતિબંધીત કર્યા છે. આ સંદર્ભે હવે રાજય સરકારના આદેશ બાદ સાધારણ સભા બોલાવવાની જોગવાઇમાંથી 31/3/2021 સુધીની મુદત લંબાવવામાં આવે છે તેવુ અંતમાં જણાવાયું છે.

સામાન્ય સભાના ઠરાવ વગર ડિવિડન્ડ ચુકવવા સરકારનો હુકમ
રાજકોટ સહિત રાજયભરમાં હજારો સહકારી મંડળીઓની ચૂંટણી મુલત્વી રાખી વ્યવસ્થાપક કમિટીને યથાવત રાખવાનો રાજય સરકારે સૈઘ્ધાંતિક નિર્ણય કર્યો છે ત્યારે રાજકોટ સહિત રાજયની હજારો સહકારી મંડળીના લાખો સભાસદોને નાણાકીય હક્કો સમયસર મળે તે જરૂરી છે. આ સંદર્ભે સાધારણ સભામાં મંજૂરી વગર સભાસદો તેમજ સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યકિતઓને મળવાપાત્ર ડિવીડન્ટ અને વળતર અને નાણાકીય લાભો આપવા માટે રાજય સરકારે છુટ આપી છે. રાજય સરકારે સહકારી મંડળી અને તમામ મંડળીઓને સાધારણ સભાની મંજૂરી વગર નાણાકીય વર્ષ 2019/20ના નફાનો ડિવીડન્ટ અને વળતરનું ચુકવણુ સભાસદોને કરી દેવા રાજય સરકારે એક આદેશથી મંજૂરી આપી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો