Placeholder canvas

ખેડુતોને ડીઝલ પર સબસીડી આપો -શકીલ પીરઝાદા

વાંકાનેર : ખેડુતોને કૃષિ વપરાશ માટે ડીઝલ ખર્ચ પર સબસીડી આપવા અંગે વાંકાનેર એ.પી.એમ.સી.ના ચેરમેન શકીલ એહમદ કે. પીરઝાદા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે, તાજેતરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહયો છે. જેના કારણે કૃષિ વપરાશ માટે ડીઝલનો ઉપયોગ કરતા ખેડુતોને વધારાનો મોટો ખર્ચ ભોગવવો પડી રહયો છે. ડીઝલના ભાવ વધારાને કારણે ખેડુતોના કૃષિ ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઈ રહયો છે.

સરકારએ વર્ષ–2022 સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનું વચન આપ્યું છે. પરંતુ કમનસીબે પરિણામ વિરૂધ્ધ દિશામાં જઈ રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. તાજેતરમાં રાસાયણીક ખાતરોના જાહેર થયેલા ભાવ વધારા બાદ સરકારએ રાસાયણીક ખાતરો પર સબસીડી જાહેર કરી, રાસાયણીક ખાતરોના ભાવ વધારો હાલ ખેડુતો પર અસર ન કરે તેવા પ્રયત્નો કર્યા છે.

ઉપરાંત, સાગર ખેડુતોને માછીમારી માટે ડીઝલ પર સબસીડી આપવામાં આવી રહી છે. તે જ રીતે ખેડુતોને કૃષિ ઉત્પાદન માટે ડીઝલ પર સબસીડી આપવામાં આવે તો હાલની પરિસ્થિતીમાં ખેડુતો પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે. માટે ખેડુતોને કૃષિ વપરાશ માટે ડીઝલ પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે તેવી માંગણી છે.

આ સમાચારને શેર કરો