હવે જોખમ વધશે: ગુજરાતમાં 1.30 લાખ લોકોને એક જિલ્લામાંથી બીજે જવા મંજૂરી અપાઈ
રાજકોટ. લોકડાઉન 3.0માં લોકોએ એક જિલ્લામાંથી બીજા જિલ્લા તેમજ પોતાના રાજ્યમાં પરત મોકલવા માટે મોટાપાયે મંજૂરીઓ અપાઈ છે. 17મી સુધી લંબાયેલા ત્રીજા લોકડાઉનને હવે 9 દિવસની વાર છે ત્યારે સરકારે જે નિર્ણયો લીધા છે તેમજ તૈયારી ચાલી રહી છે તે જોતા લોકોને હજુ લોકડાઉનનો સામનો કરવા તૈયારી રાખવી પડશે તેવું લાગી રહ્યું છે.રાજકોટમાં 5000થી વધુ લોકોને પ્રવેશવાની મંજૂરી અપાઈ છે અને દરરોજ 500થી વધુ લોકો આવી રહ્યા છે. ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે શુક્રવાર સવારની સ્થિતિએ 1.30 લાખ લોકોને મંજૂરી આપવામાં આવી છે. આ તમામ રસ્તામાં હશે તે દરમિયાન આરોગ્ય તપાસ થશે તેમજ જે તે જિલ્લામાં જશે ત્યાં તપાસ કરીને હોમ ક્વોરન્ટાઈન કરાશે. વિદેશથી જે લોકો આવશે તે તમામને ફરજિયાત ફેસેલિટી ક્વોરન્ટાઈન કરવામાં આવશે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/05/IMG-20200506-WA0010_copy_640x555.jpg)
મોટા પ્રમાણમાં લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે તેથી સંક્રમણ પણ બીજા જિલ્લાઓમાં પહોંચે તેનું જોખમ વધી રહ્યું છે. સુરતથી રત્નકલાકારોને પોતાના વતન જવાની સરકારે છૂટ આપતા સૌરાષ્ટ્રમાં આવનારા લોકોનો પ્રવાહ ઘણો વધી જશે. રત્નકલાકારોને મોકલવા માટે 200 બસ સૌરાષ્ટ્રના અલગ અલગ ડિવિઝનમાંથી મગાવાતા સુરત જવા બસો રવાના થઈ છે.એક બસમાં 30 લોકોને બેસાડવામાં આવશે અને પરત મોકલાશે. એક સાથે હજારો લોકો હોમ ક્વોરન્ટાઈન રહેશે તેમજ વિદેશથી આવનારા લોકો માટે પણ વ્યવસ્થા થઈ રહી છે. આ જોતા એ લાગી રહ્યું છે કે લોકોને લોકડાઉનનો સામનો કરવા માટે હજુ તૈયારી રાખવી પડે તેવી સંભાવના વર્તાઈ રહી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/05/20200328_131229_copy_432x393-1.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)