ભારે વરસાદની આગાહીને કારણે તલાટીઓને હેડ ક્વાટર્સ ન છોડવાનો ડી.ડી.ઓ.નો આદેશ…
મોરબી : વર્ષાઋતુનો પ્રારંભ થઇ થયો છે ત્યારે જ અતિ ઝડપથી પવન ફુંકાવાની તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હોય મોરબી જિલ્લાના તમામ ગામોના ગ્રામ પંચાયત તલાટીઓને હેડક્વાટર્સ નહીં છોડવા ડીડીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ તલાટી કમ મંત્રીઓ ફરજિયાત હેડક્વાર્ટર પર રહે તે માટેની સુચના આ૫વામાં આવે છે અને સેજાના તેમજ ચાર્જના ગામમાં હાજરી આપવાની થાય તો તેની જાણ અગાઉથી સરપંચ તથા વિસ્તરણ અઘિકારી(પંચાયત)ને કરવી અને કયા વારે કયા ગામે હાજર રહેવાને છે તે અંગેનું બોર્ડ ગ્રામ પંચાયત ખાતે ફરજિયાત લગાવવા પણ કહેવામાં આવ્યું છે. સાથે જ તાલુકા કક્ષાની અઠવાડિક બેઠકમાં હાજર રહેવાનુ હોય ત્યારે તેની જાણ પણ સરપંચને કરવી અને બેઠક પુર્ણ થયા બાદ તાત્કાલિક ફરજ પર હાજર થઇ જવા જણાવવામાં આવ્યું છે.
વધુમાં તાલુકા વિકાસ અઘિકારી દ્વારા બિન અઘિકૃત ગેરહાજર રહેનાર તલાટી કમ મંત્રીની જે તે દિવસની બિન પગારી રજા ગણવા તેમજ વાંરવાંર આવુ બનવા પામે તો શિક્ષાત્મક કાર્યવાહી હાથ ઘરવા સુચના આપવામાં આવેલ છે. સાથે જ વિસ્તરણ અઘિકારી(પંચાયત) સંવર્ગના કર્મચારીને ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રીની હાજરીની ખરાઇ કરવા સૂચના તમામ તલાટીઓને ભારે વરસાદ દરમિયાન ઉપલબ્ઘ ટ્રેકટર, જે.સી.બી, બુલડોઝર, ટ્રક વગેરે વાહન માલિકોની સંપર્ક યાદી તૈયાર કરવા આદેશ કર્યો છે, વરસાદ દરમિયાન તલાટી કમ મંત્રીઓએ ફરજ પર સતત સ્ટેન્ડ બાય રહેવા તેમજ તેઓના વિસ્તારમાં કોઇ દુર્ઘટના બને તો તેની જાણ તુરત જ જિલ્લા કક્ષાએ કરવા સૂચન આપવામાં આવી છે.
ખાટલે મોટી ખોટ એ છે કે માત્ર વરસાદની આગાહીમાં જ નહીં પરંતુ કાયમી માટે તલાટી મંત્રીને હેડ ક્વોટરમાં રહેવાનું હોય છે અને તે માટે ગામમાં તલાટી કવાર્ટર પણ છે, આમ છતાં લગભગ ૯૦ ટકા જેટલા તલાટી મંત્રીઓ હેડ કવાર્ટરમાં રહેતા નથી એ વાસ્તવિકતા છે. આ આદેશ કર્યો એનો સીધો મતલબ એ છે કે વર્ષાઋતુ સિવાય તલાટી મંત્રીઓ હેડ કવાર્ટરમાં રહેતા નથી એ ડીડીઓ ખુદ જાણે છે, એટલે જ તો આવો આદેશ કરવો પડે છે આમ છતાં છતાં તેમની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)