સાચા અર્થમાં આઝાદ એ જ છે જેને કોઈ વ્યસન નથી

વ્યસન એ એક રોગ

વ્યસન એટલે વ્યક્તિને કોઈ વ્યસનકર્તા પદાર્થ, પ્રવૃત્તિ અથવા વર્તનના પુનરાવર્તન અથવા ક્રમશઃ વધતા વપરાશને કારણે તેનાથી થતા માનસિક, શારીરિક અથવા સામાજિક નુકસાન થાય તેવા તબક્કે પહોંચવું તે. તેમાં ડ્રગ્સ, દારૂ, તમાકુ જેવા માદક પદાર્થો સહિત અન્ય પ્રવૃતિઓ જેવી કે જુગાર, ગેમિંગ, અનહેલ્ધી ખોરાક વગેરેનો સમાવેશ થાય છે. વ્યસનનો નકારાત્મક પ્રભાવ વ્યક્તિના દૈનિક જીવન, સ્વાસ્થ્ય અને સમાજ પર પણ પડતો હોય છે.

વ્યસન માત્ર નુકસાન જ નોતરે છે. વ્યસનનાં કારણે સામાજિક, આર્થિક, શારીરિક અને માનસિક તમામ પ્રકારના નુકસાન થાય છે. વ્યસનને કારણે ડીપ્રેશન, ચિંતા જેવા મનોરોગો, કેન્સર, હ્રદય રોગ, લીવર અને કીડનીનાં રોગો થઇ શકે છે એટલું જ નહિ વ્યસની લોકોનું સામાજિક અને આર્થિક જીવન પણ ખુબ જ ખરાબ હોય છે. વ્યસનનાં કારણે પારિવારિક તણાવ, સમાજિક અલગાવ, કાયદાકીય હાનિ પણ થઇ શકે છે.

વ્યસનને કારણે થતા આર્થિક નુકસાનની ગણતરી કરીએ તો તેની પાછળ વપરાતી રકમ જોઇને આશ્ચર્યચક્તિ થઇ જવાય. માનો કે એક વ્યક્તિને તમાકુ, પાન, સોપારી વગેરે ખાવાનું વ્યસન છે. તે માણસ દરરોજ ઓછામાં ઓછા 50 રૂપિયા તેની પાછળ વાપરે છે. હવે એક દિવસનાં 50 રૂપિયા તો એક અઠવાડિયાના 50*8 એટલે 400 રૂપિયા અને એક મહિનાના થયા 1600 રૂપિયા અને એક વર્ષનાં થયા 19,200 રૂપિયા. આ રીતે 5 વર્ષની બચત ગણવામાં આવે તો એ 96000 રૂપિયા થઇ. આ તો માત્ર ઓછામાં ઓછા ખર્ચની વાત છે. જેમને સિગારેટ કે દારુના વ્યસન છે તેમની બચત તો લાખોમાં થઇ શકે તેમ છે. વર્તમાન સમયમાં યુવાનોમાં ડ્રગ્સની મોટી સમસ્યા જોવા મળે છે. શાળા – કોલેજોમાં જતા બાળકોને ડ્રગ્સની આદત પડવા લાગી છે. ડ્રગ્સના રવાડે ચડીને તેઓ કોઈ પણ કાર્ય કરવા તૈયાર થઇ ગયા છે.

વ્યસનને દુર કરવા માટે સૌ પ્રથમ તેની સજાગતા અને તેનો સ્વીકાર કરવાની જરૂર છે. માણસ જ્યાં સુધી એ નહિ સમજે કે હું જે કરી રહ્યો છું એ ખોટું કરી રહ્યો છું ત્યાં સુધી એ વ્યસનથી દુર નહિ થઇ શકે.  વ્યસનને દુર કરવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે : નિયમિત વ્યાયામ, ધ્યાન દ્વારા મનની શક્તિ વિકસાવવી, કોઈ પણ સકારાત્મક શોખ વિકસાવવો જેનાથી માનસિક શાંતિ અને આનંદ મળે જેમ કે વાંચન, પેઇન્ટિંગ, સંગીત વગેરે. જરૂર લાગે તો કાઉન્સેલિંગ અને થેરાપી જેવી મેડીકલ સારવાર લેતા પણ અચકાવું જોઈએ નહિ. -મિતલ ખેતાણી

આ સમાચારને શેર કરો