Placeholder canvas

આજે મોરબીની મચ્છુ જળ હોનારતની 44મી વરસી…

મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને આજે 44 વર્ષ પુરા થઇ ગયા છે ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી તે ઘટનાને મોરબીવાસીઓ કદી ન ભૂલી શકે અને 44 વર્ષ વીતી ગયા હોવા છતા પણ હોનારતની તારીખ આવતા જૂની યાદો લોકોને તાજી થઇ જવાથી અનેક આંખોમાં ફરી પાછું આંસુઓનું હોનારત આવે છે. જળ પ્રલયમાં સ્વજનોને ગુમાવનારા અનેક લોકોની આંખો આજે પણ ભીની થઇ જાય છે.

મોરબીના રહેવાસીઓ 11મી ઓગસ્ટના દિવસને ક્યારે પણ ભૂલી શકશે નહિ, આજના દિવસે આજથી 44 વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હોવાથી મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા અને 11મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમ છલોછલ ભરેલો હતો તેવા સમયે એકાએક ડેમનો માટીનો પાળો તૂટવાથી આ હોનારત સર્જાઈ હતી. જળપ્રલયની ભયાનક ઘટના જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે.

આ જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી અને મચ્છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યું હોવાથી હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા આટલું જ નહિ ગાય, ભેસ સહિતના દુધાળા પશુઓ ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી અને હોનારત બાદ શહેરમાં રોગચાળો ફેલાઈ અને લોકો રોગનો ભોગ બને તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું

જેથી તે સમયે સરકાર દ્વારા તાત્કાલિક કર્મચારીઓની ભરતી કરીને જુદાજુદા સર્વે સહિતની કામગીરીમાં તે કર્મચારીઓને લગાવવામાં આવ્યા હતા. ભારે વરસાદના કારણે તે દિવસે સવારથી જ શહેરમાં પાણી ભરાવ લાગ્યા હતા તેવામાં મચ્છુ ડેમ તૂટતા લોકોને પોતાના જીવ બચાવવા મુશ્કેલ બની ગયા હતા અને ઘણા લોકોએ તો મચ્છુના પાણીમાં નજરો નજર પોતાના સ્વજનોને ડૂબતા જોયા હતા જેથી મચ્છુની આ ગોજારી હોનારતનો દિવસ નજીક આવે એટલે આજે પણ મોરબીવાસીઓના કાળજા કંપી ઉઠે છે.

મોરબીમાં મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ તુટવા લાગ્યા હતા જેથી હોનારતમાં બચી ગયેલા લોકો આજે પણ કહે છે કે, તેઓને ભગવાને જ બચાવ્યા છે નહિ તો મોત તો તેઓએ પોતાની નજર સામે જ જોયું હતું ત્યારે હોનારતના કારણે મોરબી શહેર ટાપુ સામન બની ગયેલ હતું અને ચોમેર પાણી જ પાણી હતું જો કે, પાણી ઓસરવા લાગ્યા બાદ એક બાજુ મોરબીમાં લાશોના ઢગલા, ગંદકીના ગંજ હતા, ત્યારે જુદીજુદી સંસ્થાઓ લોકોના બચાવ રાહતની કામગીરી માટે મોરબીમાં આવીને કામગીરી કરી હતી.

જ્યારે બીજી બાજુ તે સમયે ચોરી લુંટફાટ કરવા માટે જુદાજુદા વિસ્તારોમાંથી ગેંગો આવવા લાગી હતી જેની ફરિયાદો અધિકારીને મળવા લગતા ત્યારે બહારથી શહેરની અંદર આવતા અને શહેરમાંથી બહાર જતા લોકોને ચેક કરવામાં આવતા હતા. દર વર્ષે મોરબી મોતના તાંડવ એટલે કે હોનારતના કાળા દિવસને યાદ કરે છે કેમ કે ક્ષણવારમાં આવેલા હોનારતના પાણી ભલે ઓસરી ગયા હોય પરંતુ આજે 44 વર્ષ પછી પણ નગરજનોના હૃદયમાં કોતરાયેલા ઘાવ હજુ પણ રૂઝાયા નથી, હોનારત પછીના દિવસે લાચારી, બેબસી અને અસહાયતા સિવાય બીજું કશું જ લોકો પાસે હતું નહી મોરબીના હોનારતની ગીનીસ બુકમાં પણ સૌથી ભયાનક હોનારત તરીકે નોંધ કરવામાં આવી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ 11 ઓગસ્ટને શુક્રવારે મોરબી પાલિકા દ્વારા મૌનરેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે 3:15 વાગ્યે આ રેલી પાલિકાથી નીકળશે ત્યારે 21 સાયરન વગાડવામાં આવશે જેમાં રાજકીય, સામાજિક આગેવાનો સહિતના લોકો તેમજ અધિકારી સહિતના હાજર રહેશે અને મણીમંદિર ખાતે આવેલા સ્મૃતિ સ્તંભ ખાતે પુષ્પાજલી અર્પણ કરશે.

આ સમાચારને શેર કરો