Placeholder canvas

ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઊતરેલા ત્રણ કામદારોના ગૂંગળાઈ જવાથી મોત.

છેલ્લા 15 દિવસમાં ભૂગર્ભ ગટર અને ખાળકૂવાની સફાઈ દરમિયાન લોકોનાં મોતની ત્રીજી ઘટના

ભરૂચના દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઊતરેલા ચાર કામદારોમાંથી ત્રણ કામદારોનાં ગૂંગળાઈ જવાથી મોત નીપજતા ચકચાર મચી છે. ચારેય કામદારો ભૂગર્ભ ગટરની સફાઈ માટે એકબીજાના હાથ પકડીને ગટરમાં ઊતર્યા બાદ ગૂંગળાઈ જવાથી ત્રણનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ચોથા કામદારને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

દહેજમાં આજે ભૂગર્ભ ગટરની સફાઈ માટે ચાર કામદારો ગટરમાં ઊતર્યા હતા. જેમાં ત્રણ કામદારોને ઝેરી ગેસની અસર થતાં ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય એક કામદારને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કામદારોના મોતના પગલે ઘટનાસ્થળે હોબાળો મચ્યો હતો. હાલ ફાયર બ્રિગેડ અને પોલીસના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક કામદારોના નામ

  1. ગલસીંગભાઈ વરસીંગભાઈ મુનિયા (ઉ.વ.30)
  2. પરેશ ખુમસિંગ કટારા (ઉ.વ.30)
  3. અનીફ જાલુભાઈ પરમાર (ઉ.વ.24)

રાજકોટમાં 12 દિવસ પહેલાં આવી જ ઘટના બની હતી
રાજકોટના સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ મેઇન રોડ પર ગોકુલધામ ગેટ સામે 12 દિવસ પહેલાં ભૂગર્ભ ગટરની સફાઇ વખતે ગેસ ગળતરથી શ્રમિક મેહુલ મેસડા અને કોન્ટ્રાક્ટર અફઝલભાઇ ફુફરનું મોત નીપજ્યું હતું.

4 દિવસ પહેલાં વલસાડમાં પણ 2 લોકોનાં મોત થયાં હતાં
ચાર દિવસ પહેલાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક ચાલીના ખાળકૂવાની સફાઈ માટે ગયેલા ચાલીના માલિક અને એક ભાડુઆતનું ખાળકૂવામાં પડી જતાં મોત નીપજ્યાં હતાં.

આ સમાચારને શેર કરો